પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
શિવાજીની સુરતની લૂટ

દરવાજામાં પેસતાં જ આ તકરારથી તેણે તલવાર ખેંચવાનો વિચાર કીધો, પણ પોતે જે કામસર આવ્યો હતો તે કરવાનો પૂરતો વિચાર હોવાથી જુસ્સાને દબાવી આ બીજા વિઘ્નને પાછું વાળવાના ઠરાવથી અબોલ રહ્યો. પણ આપણા ઈકડે તીકડે મીરચી ખાંઉની લુલી હાથમાં ઝાલી ન રહી. તેણે આ પહેલવાનને કોઈ હલકો તુરકડો સમજી પાછી લુલી ચલાવી.

“અયે કાફર ! કોણ લોંડી સાથે લાવ્યો છે ? સરકારને પોતાની બઈરી ભેટ આપવા આવ્યો છે કે ? વાહ ! વાહ! અચ્છી ભેટ લાવ્યા મિયાં સાહેબ ! મિયાં તમે કોણ છો ?”

“તુમ્હારા બાવા !” ઘણો ગુસ્સો ચઢવાથી તપી જઈને પહેલવાને રોબમાં જવાબ દીધો. “હમકો નહીં પયચાના સુવર, ક્યા ટિક ટિક કરતા હૈ ?”

“શયતાન ચુપ રહો !” જમાદારે દમામમાં જવાબ દીધો. “બહુ કરશે તો હમણાં કાપી નાંખી સુવરને ખાવાને આપીશ.”

“હરામજાદે, જિયાદા ગુસ્તાખાના કલામ મુંહસે ન નિકાલ - વર્ના ખીંચ લુંગા ખાલ!” આમ કહી તેણે પોતાની સમશેર ઘા કરવાને ઉગામી.

“ખામોશ ! ખામોશ !” કચેરીમાંથી અવાજ આવ્યો ને તુરત જાદોરાવની નજર ટંટાપર પડી હતી તે ઉઠીને દરવાજાપર આવ્યો. તાનાજી એ વખતે કંઈ કારણસર તંબુ બહાર ગયો હતો. શિવાજી, દાદાજી, રાધો બલ્લાળ તથા બીજાઓ તે શું છે, તે જાણવાને આતુર થયા.

“એ શું તકરાર છે દફેદાર ?” જાદોજીએ પૂછ્યું.

આ વખતે શું થાય છે તે પહેલવાન, તેના બે સાથી ને રમા બાજુએ ઠરીને જોવા લાગ્યાં.

રમાની મરજી આ વેળા એમ થઈ આવી કે, શિવાજીને જઈને ચકિત કરી ટંટો મટાડવો, પણ મન મારી તે પાછી હઠી કે “ફરતા ફરતી છાંયડી” ના રંગ જોવા.

“એ શી તકરાર છે દફેદાર ?” જાદોજીએ પૂછ્યું, “એ કયા સરદાર