પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
શિવાજીની સુરતની લૂટ

સ્વર્ગમાં મોકલ્યા કે પોતાની સાથે લઈ ગયા ? શું છે બહેન, તે મને ઘણી જલદીથી જણાવ, તારો આભાર ભૂલીશ નહિ.” આ સઘળું મોતી એટલી તો ઉતાવળમાં બોલી ગઈ કે, પહેલો કયો જવાબ દેવો, તે રમા સમજી શકી નહિ. સ્ત્રીઓની રીતિ પ્રમાણે જેટલી અધીરતા મોતીમાં હોવી જોઈએ તેટલી અધીરતાથી આ પ્રશ્નો તેણે કીધા.

પણ રમા જરાએ ઉતાવળી થઈ નહિ. તે પણ ઘણી સમજુ હતી, વળી હવે નિર્મળ હિમાલયના વાયુ જેવા સ્વચ્છ અત:કરણની થઈ હતી, ને પોતાના પાપીષ્ઠ વિચાર ઈશ્વરે આ ૫શ્ચાત્તાપથી માફ કીધા છે, એમ જાણી તે ધીરી પડી હતી.

“ધીરજ રાખો મારી પ્રિય સખી ! તમારા ખાવિંંદ કુશળ છે, માટે તેમના વિશેની ભીતિ કહાડી નાંખો.” ધીમે ધીમે રમાએ જવાબ દીધો. “તમારા પ્રીતમપર સંકટ છે, પણ તેનો ઉપાય થશે તો ઈશ્વર સહાય કરશે ને એ સંકટમાંથી મુકત થશે.”

“યા ખુદા ! મારા ખાવિંદને તે કૃતાંત જેવા કાળા મોંના શત્રુઓથી બચાવ !” ઉંચે મુખે મોતીએ પ્રાર્થના કીધી, “પણ ઓ બહેન તું શી રીતે તે સંકટમાંથી છટકી આવી ?”

“તમારા પ્રીતમને બચાવવા માટે ઈશ્વરે મને એ મરેઠાની છાવણીમાંથી સહીસલામત છટકવા દીધી છે. “જેને રામ રાખે તેને કોણ ચાખે !” એમાં કંઈ નવું નથી.” રમાએ ઉત્તર દીધો.

“એમાં કંઈ નવું નથી, ખચીત; પણ આ તરફના રહીશ કરતાં દક્ષિણીઓ ઘણા ક્રૂર અને નિર્દય હોય છે.” મોતીએ પોતાનો વિચાર બતાવ્યો. “તમે ખરેખર કોઈ મહાદુઃખથી દુઃખી છો અને તમને જિંદગી અકારી દેખાય છે, તેથી આ યત્ન કીધો હશે ?”

મોતીના આ સઘળા પ્રશ્નોના ઉત્તર રમાએ દીધા નહિ. તેણે પોતાની વિપત્તિ જણાવવા ચાહી, પણ જે દુ:ખ બીજાને કહેવાથી દૂર થનાર નથી તે દુઃખ કહેવાથી લાભ શો ? એમ ધારી તે કંઈપણ