પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
મારવું કે મરવું

ને કેવી રીતે કામ કરીએ ? હમણાં અમને હુકમ દીધામાં આવે તો પછી અમારો હાથ જોજો; પણ બેગમ સાહેબ એશઆરામમાં મઝા મારવા કોણ જાણે કયાં ભાગી ગયાં ને અમને આકાશ વચ્ચે ખડા કીધા !”

“ચૂપ રહે ખાન !” સુરલાલ બોલ્યો, “તું જાણે છે તે કરતાં વધારે સારી રીતે આ લશ્કરને દોરવનારા જાણે છે કે ભય કેમ છે અને હવે કેમ વર્તવું જોઈએ. પણ તારી બેમર્યાદ લૂલીને આગળ ચલાવીશ તો આ તરવારને સ્વાદ ચખાડવો પડશે. બેગમસાહેબને માટે કુવાક્ય બોલનાર તું બેમુરવ્વતને જાનથી દૂર કરવો એમાં જરા પણ હરકત જેવું નથી.”

“કાફિર, બહુ બોલે છે તો આવી જા, તારી તરવાર ને મારી તરવાર બંને કેવા જુસ્સાથી કામ કરે છે તે જો. સંભાળ.” આમ બોલતાં પઠાણોના એક આગળ પડેલાએ તરવાર કાઢી અને સુરલાલને મારવા ઉગામી, તેમ સુરલાલે પણ સાવધ થઈને પોતાની તરવાર મ્યાનમાંથી ખેંચી. એક ક્ષણમાં શત્રુ સાથે લડવા જતાં માંહોમાંહે લડાઈ થઇને શહેરનું સત્યાનાશ વળવાને સમય આવ્યો હતો, પણ એક અકસ્માત બનાવથી આ ખાનસાહેબની તરવાર તેને ઠેકાણે રહી ને તે ખુદાતાલાની બંદગી કરવાને પહોંચી ગયો ને વળી લશ્કરમાં પણ બેદીલી ઉત્પન્ન ન થઈ. જો આ બારીક પ્રસંગે માંહેમાંહે લડાઈ સળગી હોત તો બાકીની લૂટફાટ શિવાજી સુખેથી કરત, અને જે રીતે તેને હવે સૂરતની પ્રજા તરફથી ત્રાસ બતાવવામાં આવ્યો હતો તેનો પૂરેપૂરો બદલો લેત. શિવાજીનો સ્વભાવ ઘણો ચીડિયો હતો અને તેમાં પણ જ્યારે એની કરેલી યોજના સામા કોઈ દુર્ધટ પહાડ આવી અટકાવ નાંખે ત્યારે એ અતિશય ક્રોધથી તે પહાડના ટુકડેટુકડા કરી નાંખવાને તૈયાર થતો હતો. ઘણે સ્થળે તેણે અક્ષમ્ય વૈરની ખુમારી - હિન્દુ કે કોઈ પણ તરફ બતાવી છે તેનું મુખ્ય કારણ એ જ છે. તે