પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
શિવાજીની સુરતની લૂટ

ગમે તે પ્રકારે એનું ખૂન કરે. ચારે સ્વાર નજીક આવી પહોંચ્યા, પણ નવાબ જોમમાં આવેલા કોઈ તલેસ્માતથી બડો શૂરવીર બની ગયો હતો. તેના સાથીઓ બહુ કાબેલ હતા, પણ તેનાથીએ એણે સવાયું પરાક્રમ બતાવ્યું. ચાર ચંડાળોમાંના એકને તો ધસતાં જ કાપી નાંખ્યો, ને જમરુદનો ઘોડો ખાલી પડ્યો હતો તેપર સ્વાર થયો. તાનાજી વિશેષ લજિજત થયો ને તે દાંત કચકચાવી આ તરકડાને મારી નાંખવાનો દાવ શોધતો હતો. તેટલામાં એક ગોળ કુંડાળામાં નવાબને ઘેરી લેવા સઘળા સિપાઈઓ આસપાસ ફરી વળ્યા. પ્રસંગ અતિ બારીક હતો, ને જીવ સટોસટના સોદા હતા. નવાબે અલ્લાહનું નામ જીભપર લઈ પોતાનો ઘોડો શત્રુઓની મીણમાં ફેંક્યો ને પાંચ દશને ભાલાથી વીંધી નાંખ્યા, ને તે જ આવેશમાં બીજો ગોળો જમીનપર અફાળ્યો - એમ જ માનીને કે હવે મદદ ન આવી પહોંચે તો એકલે હાથે સઘળું કામ બજાવવું, પણ જનનીની કુખ લજાવવી નહિ. આ વેળાએ તેનો વિકરાળ ચહેરો, તેનું બાહુબળ, તેનો સીનો ને તેની કાબેલિયત એવાં તો ઉત્તમ હતાં કે “ધન્ય છે એનાં માત પિતાને !” એમ મુખેાચ્ચાર કર્યા વિના રહેવાતું નથી. જનાની વૃત્તિવાળો છતાં મરદાનગીમાં તે એક્કો બન્યો હતો, ને તે કાળના એક્કા કરતાં પણ વધારે કદાવર દેખાતો હતો.

શિવાજી તેની આ મરદાનગીને જોઈ હેરત પામ્યો, ને એક સિંહ સમાન યોદ્ધો આટલી ત્વરાથી આવી સરસ રીતે શત્રુઓને હંફાવે, એ તેના કાળજામાં કોતરાયું. તેણે ધાર્યું કે, “કેટલાંક સ્ત્રીપુરુષ ને નિર્દોષ બાળકોના ઘાતની આ ગેબી સજા કરવા ઈશ્વરે તો આને નહિ પ્રેર્યો હોય. રખેને એ કચડઘાણ કાઢી નાંખે” એવા વિચારથી તે અજિત શત્રુને મારવાને બહુ આતુર બની ગયો. તેણે બીજા પંદર સ્વારને આ શત્રુપર મારો ચલાવવા મોકલ્યા. નવાબ હવે ગભરાયો ને તેણે જાણ્યું કે ખચીત કંઈક દગો થયો, છતાં પણ હટ્યો નહિ. પોતાના ત્રણ સાથી, જે હજી પણ સલામત હતા તેમને પાસેના પાસે ઉભા રહેવાનું સૂચવી, યાહોમ કરી