પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
“અલ્લાહ અકબર” અને “જય ભવાની”

વીર બહેનો જરા પણ હટી નથી, ને તમે મળેલા જયને પરાજય કરી નાસો છો ! શરમ ! લ્યાનત ! હયફ !"

આ ભાષણ એવી તો છટાથી, એવા તો દિમાગ ને ગર્વથી મોતીએ કીધું કે, એકદમ આખા લશકરમાંથી “રંગ છે ! ધન્ય છે ! શાબાશ !” એવા પોકાર થઈ રહ્યો.

નવરોઝ પણ આ વેળાએ આવીને ઉભો હતો ને નવાબ પણ તૈયાર હતો. લશ્કરપર જે અસર થઈ તે તેમણે જોઈ, નવાબે જોયું કે બાજી બગડી છે, પણ એને ઠેકાણે લાવી શકાશે.

“મામલો સઘળો બગડી ગયો નથી,” નવાબે કહ્યું, “તમારે જોઈયે તો પાછા જાઓ, તમારે જોઈયે તો અમારી સાથે ચાલો. અમને અમારી જિંદગીની કશી પણ કિંમત નથી, પણ યાદ રાખજો, ફરીથી કહું છું કે કોઈ પણ બચવાના નથી, ને અમારી સહાયે તો મુસલમાનોનો અલ્લાહ ને હિંદુનો રામ છે! અમે જ જય પામીશું ને તમે તે વેળા તમારી સ્ત્રીઓને મોં બતાવવાની હિંમત પણ કરશો નહિ.”

“અમે મરવા તૈયાર છીએ,” “હમ મરનેકો તૈયાર હયઁ” એમ હિંદુ અને મુસલમાન બંનેમાંથી સામટો જવાબ મળ્યો.

સઘળા માણસોને પાછા એકઠા કીધા, દુમાલના મેદાનમાં પાછી લડાઈ કરવાને પાંચ ટુકડી તૈયાર કીધી ને દરેક જણે પોતપોતાની ટુકડીનું ઉપરીપણું પોતાના તાબામાં લીધું. નવાબ સહુની મોખરે થયો એટલે નવરોઝ અગાડી આવીને બેાલ્યો:-“ખુદાવંદ ! જો આપની ઇચ્છા હોય તો આજે મારો હાથ બતાવું ! મને અગાડી ધસવાદો- લશકરને તમે સંભાળો.”

“તેમ નહિ બને !” નવાબે જુસ્સાથી કહ્યું, “નવરોઝ, આજે જયની કીર્તિ હું કોઈ બીજાને આપીશ નહિ, સઘળી વ્યવસ્થા સુરલાલને સોંપ, તે બરાબર ગોઠવણ કરશે, ને આજની લડાઈમાં જે મરશે તેને હૂર વરશે.”