પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
બહિરજી અને બેરાગી


પણ મહારાજ તો એવા શાંત અને સ્વસ્થ હતા કે, તેનાપર એ બોલવાની જરાએ અસર થઈ નહિ. આ જોઈને શિવાજીના જાસૂસે પોતાની વાત પાછી ચલાવી.

“મારા જાણવા પ્રમાણે.” કંઈ મંદ સ્વરે ને હસ્તે ચહેરે બહિરજી બોલ્યો, “આપ જે પીડિત છો તે વિરહવેદનાથી છો. હું એક મરાઠો છું, અને જો કે પરદેશી છું, તો પણ તમારી વાત મને કહેશો તો મારાથી બનતી મહેનત કરી સુખ અપાવીશ. ઘણીવાર એમ બને છે કે એક વાત બીજાને કહેવાથી અડધોઅડધ દુ:ખ ઓછું થાય છે. જુવાનીના વખતમાં જે જે કૃત્યો થયાં હોય તેમાં પ્રીતિદુ:ખ વેઠવું બહુ મુશ્કેલ છે; અને તેમાં ધારેલી મુરાદ બર આવતી નથી, ત્યારે અતિશય બેચેની ને ઉદાસી ઉત્પન્ન થાય છે. જોગી જતી સંન્યાસી સર્વેમાંથી મોટો ભાગ વેરાગ લે છે તે એવાં જ કોઈ દુ:ખથી જ. આપ જો એવા જ કોઈ કારણસર સંસારને છોડી બેઠા હો તો હવે ઘણા થોડા સમયમાં તમારે પાછા સંસારના ખટરાગમાં પડવું પડશે; તેવી કંઈ ઇચ્છા છે?”

“હમ,” બેરાગીએ કહ્યું: “એસા નહિ. બચ્ચા અમેરી પીડા બડી હૈ, મગર થોડીભી હૈ ! તુમકું ક્યા કામ પોસે; તુમ તુમેરી બાત ચલાવ, પીછે હમ દેખ લેંઇગે.”

“તો સાંભળો,” કંઈ વિચાર કરી મરાઠો બોલ્યો. “મારા સરદાર શિવાજીનો પેલા તરકડા કાફરોને ભરતખંડમાંથી કહાડી મૂકવાનો નક્કી ઠરાવ છે; અને તે માટે તેને કોઈના આશ્રયની ઘણી મોટી જરૂર છે. હું તેનો દૂત અને ભારતભૂમિના રક્ષણકર્તાનો સાથી છું, સર્વ સાહિત્ય- સૈન્ય અને ઐક્ય – એ અમારી પાસે છે. પણ કમનસીબથી જોઈયે તેટલાં નાણાં નથી. અમારા નસીબને અજમાવવા ઘણાં સાહસ કર્મો કીધા, પણ જોઈતો જય મળ્યો નથી. મુસલ્લાના શહેર પર અમે ઉતરી પડ્યા, ઘણી મુસલમીન બીબીઓને લેાંડી કરી પકડી લઈ ગયા; ઘણાં નગરો ઉજડ કીધાં; ઘણે ઘણે ઠેકાણે ત્રાસ ને ભય વર્તાવી દીધો.