મરાઠા દૂત બેરાગીની આવી વૃત્તિ સ્વાભાવિક હતી. તે વેરાગી જ
ન હતો. તેની વૃત્તિ બદલાય તેમાં આશ્ચર્ય નથી. તેને જ્યારે ધન ને
સ્ત્રી બંનેનાં દર્શન થયાં, ત્યારે તે વેશધારી કેમ તે સામું તાકીને ન જૂએ ?
તેની મૂળની વૃત્તિ જ એ બાજુએ ઢળેલી, તેને બીજું કંઈ સૂઝે જ નહિ.
મરાઠા પ્રજાનું ખમીર ઘણું કરીને વિષયમાં વધારે આસક્તિ ભરેલું છે.
જો બહિરજી શહેર ચર્ચા જોવાને ન આવ્યો હોત અથવા એ રાજ્ય
મરાઠાનું હોત, તો જે જે સુંદર સ્ત્રીઓને તેણે જોઈ હતી, તેમાંથી ગમે
તેવા બળાત્કારે-જોખમે-કોણ જાણે કેટલીક તે ઉંચકી લઈ ગયો
હોત ! મુસલમાનના રાજ્યમાં પણ એમ જ હતું. પણ હમણાંનો નવાબ
ગ્યાસુદ્દીન રૂમી કેટલેક પ્રકારે ઘણો સારો હતો, તેથી લુચ્ચા લફંગાઓનું
ઝાઝું ફાવતું નહિ. સ્ત્રીઓની લાજ લૂંટનારા બે લુચ્ચાઓને નવાબે
બાંધી મરાવ્યા હતા ને જો કે તે સમે લોકોએ એ નીતિને નિંદી
હતી, તો પણ હમણાં તેનાં બહુ વખાણ થતાં હતાં.
બહિરજી ને બેરાગી બંને જણ નવ કલાકના ફરતા ફરતા સાંઝના ચાર કલાકે ગોપીપુરામાં આવી પહોંચ્યા. ત્યાં વાણિયાઓની ન્યાત જમતી હતી. જુવાનથી તે ઘરડા સુધી-સ્ત્રી, પુરુષ ને બાળક સર્વે અનેક પ્રકારનાં ઘરેણાં ગાંઠાં પહેરીને જમતાં હતાં. તે જોઈને બહિરજીની હબકી ફાટી ગઈ તે તો એમ જ વિચારવા લાગ્યો કે આ સ્વર્ગ છે કે મૃત્યુલોક છે; આ સ્ત્રીઓ તો રંભા ને ઉર્વશીની સખીઓ તો નથી ? તે એકદમ બોલી ઉઠ્યો, “મહારાજ ! હવે તો ચાલો. આ સ્વર્ગલોકમાં રહેવાની જગ્યા આપણે માટે નથી.” તેને બેરાગીએ એકદમ એક તમાચો લગાવ્યો નહિ ત્યાં સુધી તે બક્યે જ જતો હતો કે “અરે ! શિવાજીનાં ભાગ્ય તો હવે નક્કી ફર્યા જ !” પકડાઈ આવવાની બીકથી બંને જણ ત્યાંથી એકદમ પાછા ફર્યા. જતાં જતાં આત્મારામ ભુખણની શેરીમાં પેઠા. ઠેઠ ત્રીજી અટારીપર બેઠેલી એક ચંચળ તીવ્ર નેણવાળી સ્ત્રીના ઉપર બંને જણની નજર પડી, “માઈ કૂછ દેયગી ?” આમ