પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
રાત માતાકા પેટ


“મારી જીંદગીને ખાતર હું તૈયાર છું:” સુરલાલ અકસ્માત ત્યાં આવી પહોંચી બોલ્યો. “લશ્કર અવ્યવસ્થિત છે, ને સમયસર ગોઠવણ થઈ નથી, તેથી જો ત્રણસો માણસ દ્વંદ્વયુદ્ધમાં ઉતરવાને તૈયાર હોય તો કંઈ કરી શકવાનું મારામાં સામર્થ્ય છે. શિવાજી સામા લડીને મરીશ અથવા મારીશ.”

“એસા નહિ બનેગા, તેરી જુવાનીકી ખાતર મેં મરનેકું તૈયાર હું. મેરા હાથ નીચે સબ લોક તૈયાર હો, તો અબીકા અબી ચલો !” સરદાર નવરોઝ, એકદમ દરવાજામાં પેસતાં જ બોલ્યો, “સુરલાલ, તું એસા મત જાન કે મેં તુઝે અપમાન કરતા હું, લેકીન મેં મરુંગા તો કુછ દહેશત નહિ હૈ, ઓર તુઝકું ચઈયે ઇતની લડાઈકી વાકફગારી નહિ હૈ, ઉસ સબબસે તું મેરી પીછે ચલ.”

સુરલાલે તે કબુલ કીધું. તેનો સોબતી ખરો હતો. સઘળી મંડળીને પણ એ વાત ગમી. કેટલાક માણસો પાસે હથિયાર ન હતાં, તે એકદમ મંગાવીને સોંપવામાં આવ્યાં. વલંદાની કોઠીમાંથી જેટલાં મળ્યાં તેટલાં લીધાં. બીજા પારસીઓએ આપ્યાં; અને તેઓ પણ હોંસથી સામેલ થયા. પારસી, હિંદુ ને મુસલમાનનું એકઠું થએલું ટોળું “હર હર મહાદેવ ! ભવાની માતકી જે !” “અલાહ અકબર!” એમ ગર્જના કરતું છસો માણસ ઊઠી એકદમ સરદાર નવરોઝ ને સુરલાલના હાથ નીચે સંફ સમારીને ઉભું રહ્યું.

જોન્સે એક યુક્તિ બતાવી, કે જેથી શત્રુને કાને ઠેઠ લગણમાં કંઈ ખબર જ ન પહોંચે. તેથી પહેલો ચોકીવાળો મળ્યો તેને એકદમ કતલ કરી નાંખ્યો. એ મરાઠાની લાસ સાથે લગભગ બીજા ત્રીસ મરેઠા સીપાહીનાં માથાં રડવડતાં થઈ ગયાં.

શૂરપર આવેલા યોધાઓ ધબધબ પગલાં મૂકતાં, જોમ૫ર આવીને ઘર, કુટુંબ કશાનો વિચાર કરયા વગર મેદાન પડ્યા હતા. ભયંકર કાળરાત્રિએ મરવા જાય છે એટલું પણ ઘરકુટુંબને જણાવ્યા વગર નીકળી પડ્યા હતા. એ તેઓની હીંમત અને બહાદુરી ધન્યવાદ આપવાની ફરજ પાડે છે. સઘળા કિલ્લો છોડી ભાગળ નજીક આવ્યા ને બે