પૃષ્ઠ:Shobhana.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરાશરે ટોળામાંથી શંકરનો હાથ ઝાલી તેને સાથે ઘસડી આગળ આવી કહ્યું :

‘અરે જમાદાર સાહેબ ! પહેલાં આ બાઈની સારવાર કરાવો ને ? મોટરકારનો નંબર તો લઈ લીધો છે.'

'પણ પંચક્યાસ કરવો જોઈએ ને ?’

‘પહેલો પંચક્યાસ કે પહેલી સારવાર ?’ પરાશરે પૂછ્યું.

‘હું પણ એ જ કહું છું, અને નાહક આ પોલીસના માણસો મને હેરાન કરી અટકાવી રાખે છે.’ મોટરના માલિકે કહ્યું.

‘આપનું નામઠામ આપવામાં આપને નાનમ આવી જાય છે, અને અમે હેરાન કરીએ છીએ. એમ આપને લાગી આવે છે ! આ કેવો અવળો ન્યાય ?’ એક પોલીસના માણસે કહ્યું.

‘હું તમારો ન્યાય અને અન્યાય આગળ ઉપર કરાવીશ. મેજિસ્ટ્રેટ સાહેબ તો શું પણ ઈલાકાના પ્રધાન મારા મિત્ર છે !’

લોકજ્ઞપ્રધાનો સત્તાધીશ થવાથી તેમનાં ઓળખાણને વટાવી ખાવાની તજવીજ કરનાર સજ્જનોની સંખ્યા એકાએક વધી પડી છે !

‘આપણે, સાહેબ ! એમ કરો ને ? બાઈને કારમાં નાખી દવાખાને પહોંચાડીએ. પંચક્યાસ લખાઈ ગયો છે. સહી માટે ત્રણ જણ શોધી કાઢીશું.' સિપાઈએ કહ્યું.

‘જોયું મિસ્ટર ! આ પંચક્યાસ કેવા ખોટા થાય છે તે ? તમે મારા સાક્ષી છો.' કારના માલિકે ગૃહસ્થાઈ બતાવી પરાશરને પોતાના પક્ષમાં લેવા તજવીજ કરી.

‘તમે, તમારો સાક્ષી અને તમારો પંચક્યાસ એ ત્રણે જહાનમમાં જાઓ ! પહેલાં આ બાઈની સારવાર વિચારો !’ એમ કહેવાને તત્પર થયેલી પરાશરની વાણી પહેલું સંબોધન લુપ્ત કરી ગઈ.

‘હું ક્યાં ના પાડું છું ? મારી કારમાં લેઈ ચાલો.’ માલિકે કહ્યું.

‘અહીં પાસે જ એક ડૉક્ટર છે. દૂર જવું પણ નહિ પડે. બાઈને લઈ લઈએ.' પરાશરે કહ્યું.

બસો ત્રણસો માણસોના ટોળામાંથી ત્રણેક બહાદુર પુરુષોએ બહાર