પૃષ્ઠ:Shobhana.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨: શોભના
 

તે જીવતી હોત તોપણ તેને સંતોષવા માટે તેની પાસે કશું જ સાધન ન હતું.

“મેં તો જમી લીધું હતું. મરતા પહેલાં ભૂખને દાટી દેવી એવો મેં નિશ્ચય કર્યો હતો.' હસતે હસતે ડૉક્ટરે કહ્યું.

‘મારા જગતમાં તો ભૂખ માનવીને દાટી મારી નાખે છે !’

‘હું જાણું છું, અને મારા નવજીવનની ખુશાલીમાં આ જૂના જીવનમાં મળેલું બધું જ દાટી દેવા માગું છું.’

'હં.'

‘બરાબર સમજ; અત્યારે સિનેમા જોવા જઈએ. આ મહેનતના પ્રમાણ કરતાં વધારે મળેલા પૈસાને વેડફી નાખવા નાટકસિનેમા કરતાં બીજું કયું સારું સાધન મળી શકશે ?'

‘હું સિનેમા જોતો નથી.' ડૉક્ટર કુમાર આનંદી, સુખભોગી અને ઝડપથી વિચારો ફેરવી શકનાર યુવક હતો એમ જાણ્યા છતાં સિનેમામાં જવાની સૂચના પરાશરને અત્યારના સંજોગોમાં વધારે પડતી લાગી.

‘મારે ખાતર તો જો !’

‘પણ મારી પાસે એટલા પૈસા નથી.’

‘આ પૈસા શું રહ્યા ! ચાલ ઊભો થા, અને મને આ વાતાવરણથી વેગળો લઈ જા. હજી...હજી...મોત માથે ભમતું દેખાયા કરે છે !’ સ્વસ્થતાથી છતાં વિચિત્ર સ્થિરતાપૂર્વક કુમારે પોતાના પડછાયા તરફ આંગળી ચીંધી. પરાશર ઊભો થયો અને કુમારને તેણે આગળ કર્યો.