તપાસ કરી, જયરામને ત્યાં જોયું અને અંતે પરાશરની ખુલ્લી ઓરડી પાસે વાતો કરતાં ઊભાં હતાં.
‘પરાશરને જોયો ?’ રંભાએ પૂછ્યું.
‘તું એકલી આવી છે ?’ શોભનાએ સામે પૂછ્યું.
‘ના, મને થોડા માણસો અહીં મૂકી ગયા. હું પરાશરની સાથે હતી.'
‘તું ક્યાંથી સાથે ?'
'કેમ ? જાણતી નથી ? કોમી હુલ્લડો વખતે હુલ્લડ શમાવવા એણે એક મંડળ ઊભું કર્યું છે તે ?'
‘એમ ? દાખલ પણ થઈ ગઈ ?’
‘ક્યારનીયે. પણ પરાશર ક્યાં છે ?’
‘અમે પણ એને જ જોવા આવ્યાં છીએ.'
‘તો સાથે રહેતા શું થતું હતું ?’ રતને પૂછ્યું.
‘ન રહેવા દીધી. તોફાન શરૂ થયું અને મને ખસેડી મૂકી.' રંભાએ કહ્યું.
'તું ક્યારની આવી છે ?’ ભાસ્કરે પૂછ્યું.
‘બેત્રણ કલાક થયા હશે.’ રંભાએ કહ્યું.
‘તમે બધાં પરાશરનાં સગાં છો ?’ રતને પૂછ્યું.
'સગાં નહિ હોઈએ તો વહાલાં તો હોઈશું જ.’ રંભાએ જવાબ આપ્યો.
'પણ એ કોઈનો વહાલો છે કે નહિ ?' અણધારી ચબરાકીથી રતને સામો સવાલ કર્યો.
‘હોય જ વળી. હું એનું એ જ રતનને કહ્યા કરું છું.’ રંભાએ કહ્યું.
'પણ કહ્યાથી શું વળે ? બધાં મોટરગાડીમાં ફરો છો, બંગલાઓમાં રહો છો, અને એની કાળજી તો કોઈને છે નહિ !’ રતને જરા ઠપકો આપ્યો.
‘કાળજી વગર આવ્યાં હોઈશું ?’ ભાસ્કરે સહજ હસીને કહ્યું.
‘તમને ખબર છે કે એ ત્રણ દિવસથી ભૂખ્યો રહ્યો છે ?’ રતને જરા ઉગ્રતાથી કહ્યું.
‘ત્રણ દિવસથી ભૂખ્યો ? બને નહિ.’ ભાસ્કરે કહ્યું.
‘હું વધારે જાણું કે તમે ?’ રતને આ મિત્રો કરતાં પોતાની વધારે નિકટતાનું દર્શન કરાવ્યું.
'પણ એવું ત્રાગું કરવાનું કશું કારણ ? ગાંધીવાદમાં તદ્દન ભળી