પૃષ્ઠ:Shobhana.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ


હડતાલિયાઓના ટોળાને આગળ લેઈ ધસતા પરાશરને લાગ્યું કે તેના સાથીદારો અહિંસક રહી શક્યા હતા. શહેરના મોટા ભાગમાં તો તેઓ સહાનુભૂતિ મેળવી શક્યા હતા. શાંતિ જળવાય તો હડતાલનો દોષ ન નીકળે - જોકે મિલમાલિકો અગર સરકાર તરફથી પહેલો ઘા થાય તો સામા થવા માટે સહુની તૈયારી હતી જ. હિંસાની શરૂઆત પોતાના તરફથી ન થાય એટલું પરાશર માટે બસ હતું.

‘ઈન્કલાબ ઝિંદાબાદ !' તેણે મોટેથી પોકાર કર્યો અને એ પોકારનો જવાબ ગગનને ભેદી રહ્યો.

પરંતુ એ પોકાર શમતા બરાબર એક બાજુથીએ આછો પોકાર આવ્યો :

‘અલ્લા હો અકબર !’

સહુ કોઈ ચમક્યા અને પરાશરને પોતાના પગમાં અશક્તિનો ભાસ થયો. આર્થિક લડતમાં ધર્મનો પ્રવેશ તેને ભયભર્યો લાગ્યો. વર્તમાન હિંદમાં સઘળા ધર્મો બડાઈખોર, લડાઈખોર અને મારકણા અધર્મ બની ગયા છે.

‘બોલો બોલો, શરમ આવે છે શું ? કાફર બની ગયા ? બોલો જે મુસ્લિમો હો તે : અલ્લા હો અકબર !’

હડતાલિયાઓમાં હિંદુ પણ હતા અને મુસ્લિમો પણ હતા. સૈકાઓના સહવાસે હિંદુમુસ્લિમ ઐક્યની દોરેલી રેષાઓ ભૂંસી નાખવાનું માન વીસમી સદીના લલાટે લખાયેલું છે. ધર્મનું બહાનું લાવો અને જુઓ કે એક ક્ષણમાં જગતભરના જીવ, રાક્ષસ અને પિશાચની ભૂતાવળ આપણે ઊભી કરી શકીશું !

મુસ્લિમ હડતાલિયાઓ જોરથી પોકારી ઊઠ્યા :