પૃષ્ઠ:Shobhana.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ : ૨૧૧
 

પાસે ન હતા. તેના મનમાં વિચારો ઊભરાતા હતા કે તેમાં શૂન્યતા જ હતી?

બહારના અંધકારને તે નિહાળી રહ્યો. ઓછા-વધતા પ્રકાશવાળા દીવા એને દેખાયા. એ સર્વ દીવાને ફૂંક મારી હોલવી નાખવાનું તેને મન થયું.

‘કાંઈ જમશો ? હું ચોખ્ખું લાવી આપું.' સોમાએ કહ્યું.

‘ચોખ્ખું? એટલે ?’

‘મુસલમાનના હાથનું નહિ.’

‘મને ઘા કરવાને બદલે બચાવી લાવનારનો હાથ ચોખ્ખો શા માટે નહિ ? અનેક હિંદુ હાથ કરતાં તારો હાથ વધારે પાક છે.’

'પણ...મારા ઘરમાં તો મરિયમ રસોઈ કરે છે ને ?’

‘મુસલમાનના હાથનું જમવાથી વટલાય એવું મારું હિંદુત્વ રહ્યું નથી. અને મરિયમ નામ જ એવું છે કે જેને પગે લાગવાનું મન થાય. ઈસા મસીની એ મા !’

‘ઘરમાં આવશો કે અહીં જમશો !’

‘અહીં જ બેસીશ. મને ફાવી ગયું છે.'

પરાશરની જીભમાં સ્વાદ રહ્યો ન હતો. છતાં સમનના આગ્રહે તે જમ્યો, અને આખી રાત તેણે બસની પાટલી ઉપર સૂતાં સૂતાં વિતાવી.

સોમો-સમનમિયાં પણ આખી રાત જાગ્યો. એ નાનકડો નોકર સુખી ગૃહસ્થ બની ગયો હતો. ધર્મપલટાથી એની માનવતા પલટાઈ ન હતી. અને માનવતા ખોવડાવતો કયો ધર્મ જીવતો રાખવાને યોગ્ય કહેવાય ? ત્રણ દિવસની ભૂખ પછી તેને ભોજન મળ્યું. જગતમાં જીવવા જેવું છે ખરું?