પૃષ્ઠ:Shobhana.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪: શોભના
 

આત્મનિરીક્ષણ ! પાછો ગાંધીવાદનો પડઘો ! ગાંધીવાદે કેટલી જબરી ચૂડ હિંદના માનસ ઉપર ભેરવી છે !

આખો દિવસ પરાશર બસમાં પડી રહ્યો. તેણે છાપાં વાંચ્યાં. કેટલાકે હડતાલિયાઓનો દોષ કાઢયો. કેટલાકે મિલમાલિકોનો દોષ કાઢયો. કેટલાકે પોલીસબંદોબસ્તનો દોષ કાઢ્યો. કેટલાકને સખ્ત વાગ્યું હતું, ઘણાને થોડું થોડું વાગ્યું હતું અને બે મરણો નોંધાયાં હતાં. આગેવાન પરાશરની સલામતી માટે સહુએ શંકા વ્યક્ત કરેલી હતી. લોકોમાં તોફાનનો ભય વ્યાપી ગયો હતો. દુકાનો અડધી બંધ હતી અને પોલીસના પહેરા શહેરની ચોકી કરતા હતા. હડતાલિયાઓ અંદર અંદર લડ્યા એની ખબર બહુ ઓછા ખબરપત્રીઓએ આપી હતી. મિલમાલિકોએ હડતાલ ભાંગવા શું કર્યું હતું તેની માહિતી પત્રોમાં ન હતી. બહુરંગી કારણો આ તોફાન માટે આપવામાં આવતાં હતાં. એક મુસ્લિમ હડતાલિયાએ એક હિંદુની માલિકીની ગાયને પંપાળી તેમાંથી ઝઘડો ઊભો થયાનું એક ભરોસાપાત્ર ખબરપત્રીએ જણાવ્યું. એક હિંદુ હડતાલિયાએ મસ્જિદ આગળ 'વંદેમાતરમ' ગાવા માંડયું, તેમાંથી તકરાર થવાનું બીજા ભરોસાપાત્ર ખબરપત્રીએ જણાવ્યું. પરંતુ ‘અલ્લાહો અકબર' અને ‘હરહર મહાદેવની ઘોષણાને અંગે હિંદુમુસ્લિમ ઝઘડો થયો હતો એમ તો સહુએ સ્વીકારી લીધું હતું.

પરાશરને ત્રીજા પહોરે એમ લાગ્યું કે તેણે પોતાની જાહેરાત કરવી જ જોઈએ. સમન અડગ હતો. તેણે અને મરિયમે પરાશરને આગ્રહ કરી રાત પૂરતો રાખ્યો. તે બહુ જ આદર અને સારવાર પામ્યો. આ વ્યક્તિગત સ્વભાવમાધુર્ય અને સામુદાયિક વિગ્રહ વચ્ચેનો વિસંવાદ તેના મનને કોર્યાં કરતો હતો.

સોમા એક વખતનો બાલનોકર. ધર્મપલટામાં સુખ અને સંસાર મેળવી. સંતુષ્ટ થયેલો. એ એક સહજ ઊંચા વર્ગનો શ્રમજીવી શા માટે પરધર્મીં પરાશરને બચાવતો હતો ? એને સમૂહે અસર કેમ ન કરી ? એક વખત એ હિંદુ હતો માટે ? એમ તો હિંદના સાડી નવાણું ટકા મુસ્લિમો કેટલી પેઢી પહેલાં હિંદુ જ હતા ને ?

બીજે દિવસે તે જવાને તૈયાર થયો. સમને કહ્યું : ‘ભાઈ ! હજી જોખમ છે. ન જશો.'

‘શું જોખમ છે ?’

‘એ કહેવાનું નથી, પણ ચારપાંચ દહાડા અહીં કાઢી નાખો. હું હરકત નહિ પડવા દઉં.’