લખાણ પર જાઓ

પૃષ્ઠ:Shobhana.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦: શોભના
 

છેલ્લી યોજના હું વિચારું છું. ક્રાંતિની ઉગ્રતા વધારવા સાથે ક્રાંતિના ધ્યેયનો જીવંત અને સાચો અર્થ સમજાય એ જરૂરી નથી ?’

‘આપણે જાણીએ છીએ એ બસ નથી ?’

‘આપને વ્યાખ્યાન આપવું છે ?’

‘એ તો છે જ. પછી શું કરવું તેનો વિચાર કરીશ. પહેલું જાહેર વ્યાખ્યાન, પછી મજદૂર કાર્યકતાઓની મુલાકાત. બાદ મજદૂરમંડળોને દોરતાં જૂથો સાથે મંત્રણા.’

‘હું વ્યાખ્યાન ગોઠવી શકીશ.’ પરાશરે કહ્યું.

‘એટલું ગૌરધીર માટે બસ હતું. વિરોધ કરનાર બધા જ ખોટે રસ્તે ચડી ગયા છે, મૂડીવાદ છેલ્લા શ્વાસ લેતો હોય ત્યારે રાજ્યો, સામાજિક સંગઠનો અને વ્યક્તિઓ પણ ખોટે રસ્તે ચડી જાય એવી શાસ્ત્રીય ઘટના જ હોય છે, અને ઐતિહાસિક જડવાદ Historical Materialism એ બધામાંથી અંતે શ્રમજીવીઓના ઉદ્વારમાં જ પરિણામ પામશે એવી ખાતરીભરી માન્યતા સાથે સહુ છૂટાં પડ્યાં.

છૂટા પડતી વખતે ગૌરધીરે પરાશરને ઓસરીની એક બાજુએ બોલાવ્યો, અને અત્યંત ભાવથી તેને ખભે હાથ મૂકી કહ્યું :

‘બિરાદર ! તારું નામ મેં દૂર રહ્યે રહ્યે ખૂબ સાંભળ્યું છે. તું ઘણું કરી શકે એમ છે. તારામાં અમારા હિંદભરના ગુપ્ત મંડળને ખૂબ વિશ્વાસ છે. માટે હું તારી પાસે આવ્યો છું.’

‘હું એ માટે આપનો આભારી છું.’ પરાશરે કહ્યું.

‘ત્યારે આપણે પાછા મળશું... અને હાં... પંદરેક રૂપિયા તું ન ધીરી શકે ? એક પત્રિકા છાપી છે તેના આપી દેવા છે; પત્રિકા ખપ્યે હું તને પાછા આપીશ.’

પરાશર અવિશ્વાસભરી દૃષ્ટિએ ક્ષણભર ગૌરધીરને જેોઈ રહ્યો. તત્કાળ તેને શરમ આવી. માનવીની હલકાઈ પ્રત્યે તેને અભાવ ઉત્પન્ન થયો. શોભનાએ મોકલેલી રકમમાંથી તેણે પંદર રૂપિયા આ વેગભર્યા ક્રાંતિકારીને આપી દીધા.

પાછા આપવાની જરૂર નથી એમ કહેવાની તક ગૌરધીરે આપી જ નહિ. ક્રાંતિમાં લેણદેણ ઊડી જવાં જોઈએ !