પૃષ્ઠ:Shobhana.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬: શોભના
 

બેઠાં.

ચંચળે જમવા માંડતી શોભનાને આવી એકદમ કહ્યું :

‘બહેન ! ખૂન થયું.’

‘ખૂન ? કોનું ?' શોભનાએ પૂછ્યું.

'પેલા ખાદીવાળાની હું વાત હોય કરતી’તી ! મારા ભાઈને બચાવ્યો હતો તે !'

‘પરાશરની વાત કરે છે તું ?’

‘હા, બહેન !’

'શાથી ?'

‘કોઈએ છરો ભોંકી દીધો.'

‘ક્યારે ?'

‘અત્યારે. હમણાં જ એમની ઓરડીએ જોઈને મારી ભોજાઈ આવી. ભાઈ તો ત્યાં જ બેઠો છે.'

શોભના ઊભી થઈ. એણે હાથ ધોઈ નાખ્યા; અને ભાન ભૂલી હોય એમ. એણે ઘરની બહાર દોટ મૂકી.

જયાગૌરી અને કનકપ્રસાદ પણ ચમકી ઊભાં થઈ ગયાં.

‘આમ એકદમ કેમ દોડી ?’ વિનીએ પણ ગભરાઈને પૂછ્યું.

‘પરાશરને તો અમે પણ ઓળખીએ છીએ.' તારિકા બોલી.

'પણ એ... શોભનાનો... વર છે એ તમે... નહિ જાણતાં હો ને ?' જયાગૌરી જરા ભાનમાં આવી બોલ્યાં.

કનકપ્રસાદ ખુરશી ઉપર બેસી ગયા. જયાગૌરીએ આંસુ લૂછવા માંડ્યાં... વિની અને તારિકા સ્થિર બની ઊભાં જ રહ્યાં.

ચંચળે પૂછ્યું : ‘બહેન પરણેલાં હતાં ?'

એને કોણ જવાબ આપે ? અને જવાબ આપ્યાથી પણ શું ? હૃદયને ઊલટપાલટ કરી નાખતાં વહેણમાં પરણવું - ન પરણવું એ પ્રશ્નો ગૌણ બની ગયા હોય છે.