પૃષ્ઠ:Shobhana.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ અંધકારમાં શું હતું ?

અનારોગ્ય ફેલાવતી દુર્ગંધે પરાશરને પહેલો જ આવકાર આપ્યો. માનવદેહ માટે તિરસ્કાર ઉપજાવતાં અનેક જુગુપ્સાભર્યા કાવ્યો અને ગીતો તેણે સાંભળ્યાં હતાં, એ અનાકર્ષક ગીતોને તે ભૂલી જવા મથતો હતો, છતાં તેના હૃદયમાં એક ગીત તો ઊછળી જ આવ્યું, અને તેનો શબ્દશબ્દ તેની સ્મૃતિ ઉપર ફરી વળ્યો :

'હાડ માંષ ને રુધિર ભરેલું, મઢ્યું ચામડે અંગ,
ગંદા દેહનો ગર્વ નકામો, કાયાનો રંગ પતંગ,
ભરુંસો નહિ સાચો રે,
કાયાનો રંગ કાચો રે.
ભગવાન ભજો'

પરાશરને કમકમી આવી. ભગવાનને ભજવા માટે આ ભૂમિકા ? એ દેહ અને એ દેહના ભગવાન એ બંનેની અપાત્રતાનો વિચાર કરતો તે આગળ વધ્યો. અનેક ગંદા દેહ તેના માર્ગમાં પડેલા ધીમે ધીમે દેખાયા. કાથીના એક નાના ખાટલા ઉપર બે પુરુષો સૂઈ રહ્યા હતા. ખાટલાની પાસે જ ‘અર્ધ-ઉઘાડા દેહ'વાળી એક સ્ત્રી સૂતી હતી, અને એ સ્ત્રીના દેહને વળગીને - તેના ઉપર હાથપગ નાખીને - ચારપાંચ નાનાંમોટાં બાળકો પડ્યાં હતાં. તેમની આગળ બે સ્ત્રીઓ અને ચારેક પુરુષો પાસે તદ્દન જમીન ઉપર સૂઈ ગયેલાં દેખાયાં. એકબીજાને પગ, હાથ, શરીર વાગતાં હતાં તેનું કોઈને પણ ભાન હોય એમ લાગ્યું નહિ. છતાં ઊંઘમાં અને ઊંઘમાં પગ કે હાથની એક ઝપટ કોઈને વધારે વાગી ગઈ, અને એક નિદ્રાભરી ગાળ સંભળાઈ તથા જોરભેર લાતનો પ્રહાર થયો સમજાયો. સહજ દૂર એક બાળક ઠણઠણી ઊઠ્યું. તેને એક ધીબકો પડ્યો. બાળક વધારે રડ્યું, પરંતુ તેની રુદનશ્રેણી અધવચ તૂટી ગઈ લાગી. તે એકાએક શાંત પડ્યું અને શાંતિમાંથી આછાં ડૂસકાં સંભળાયાં.

'હજી છાનો નથી મરતો !’

સ્ત્રીનો આ પ્રશ્ન સાંભળી પરાશરે ધાર્યું કે માએ બાળકને એવી જબરજસ્ત ચૂંટી ભરી લીધી હશે કે જેથી છળી ગયેલું બાળક અધવચ રડતું અટકી પડ્યું.