પૃષ્ઠ:Shobhana.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૪૭
 

આવ્યાં.

ભૂખે તો પરાશર ન મરી જાય; પરંતુ જેને પરાશરનું ભણતર નથી, પરાશરનાં માતાપિતા નથી, પરાશરના મિત્રો નથી, પરાશરના સંસ્કાર નથી, એવા અનેક ચાલીમાં રહેતા તેના સાથીદારોનું શું થાય ? જાતને, કુટુંબને, આશ્રિતોને મજૂરી કરી રોજનું જીવન અર્પતા મજૂરને ગરીબીના કેટકેટલાયે આવા થડકાર સહન કરવાના હોય છે ? હૃદય બંધ પડી જાય કે નિષ્ઠુર બની જાય ! કુદરતની ક્રૂરતાઓ વચ્ચે જીવતી રહેલી માનવજાત માનવીની જ - ભાઈભાઈની જ ક્રૂરતામાં જીવી શકશે ખરી ?

ખાટલા તરફ તેણે નજર કરી. એના ખાટલાની ઉપર મચ્છરદાની બાંધી હતી. મજૂરોની ગંદકીથી તે ટેવાયો, મજૂરોના ઝઘડાથી તે ટેવાયો, મજૂરોની ગાળાગાળી અશિષ્ટતાને તે સહી શક્યો; પરંતુ મજૂરોને ફોલી ખાતા મચ્છરોને તે સહી શક્યો નહિ ! આખા દિવસનો થાક ઉતારવા તે ખાટલામાં પડતો. ત્યારે મચ્છરોના ટોળાં તેની આસપાસ ફરી વળતાં અને તેના દેહ ઉપર મિજબાની કરતાં. તે રૂમાલ ફેરવતો, પંખો વીંઝતો, હાથ વડે થપાટો મારી દેહને લાલ બનાવતો, ક્વચિત્ ઊંઘમાંથી મચ્છરને ચટકે જાગી જઈ મચ્છરને હાથ વડે કચરી નાખતો, પરંતુ લોહીને ટીપે ટીપે નવીન જન્મ ધારણ કરતા અહીરાવણ-મહીરાવણ સરખા મચ્છરોનો જુમલો વધ્યે જ જતો હતો.

'બધું સહન થશે; પણ આ મચ્છરો સહન નહિ થાય !’ કહી બીજે જ દિવસે તે સોંઘી મચ્છરદાની લેઈ આવ્યો, અને મજૂરોની ચાલીમાં પહેલા વૈભવની શરૂઆત તેણે જાત માટે કરી. મચ્છરદાનીને અને પથારીને તેણે હાથે ખંખેરી નાખી. મોટરકારમાં બેસી ગ્રામોન્નતિ કરવા જનારા ગાંધીવાદી કરતાં સામ્યવાદી પરાશર બહુ આગળ વધ્યો હોય એમ તેને લાગ્યું નહિ.

જાતની ટીકાને ઝડપથી બાજુએ મૂકી. તેણે પથારીમાં સૂતે સૂતે સ્વપ્ન સેવવા માંડ્યાં. ભાસ્કરના મહેલમાં આ મજૂરોને કેમ રાખી ન શકાય ? ભાસ્કર તેનો મિત્ર હતો, સારા કામમાં પૈસા પણ આપતો. એના જ મહેલ ઉપર મજૂરોનો પ્રથમ હલ્લો શું કામ ન કરાવવો ? મજૂરો જ્યાં સુધી માગશે નહિ, માગણી પાછળ મુક્કો ઉગામશે નહિ, ત્યાં સુધી તેમને કશું પણ ક્યાં મળવાનું છે ? અને પરાશર જેવા સ્વાર્થ મૂકી ફકીર બનેલા સામ્યવાદીને પણ મિત્ર પ્રત્યેની બુર્ઝવા-મૂડીવાદી વફાદારી અસર કરી શકી !

આનો પાર ક્યારે આવે ! ભાવિ તેને અંધકારમય લાગ્યું. મજૂરો, કિસાનો, ગરીબો માટેનો સુવર્ણયુગ લાવવા મથનારને થોડા પૈસા જતા