પૃષ્ઠ:Shobhana.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૬૭
 

બોલું.’ પરાશરે કહ્યું.

નિવેદન વાંચતા સુંદર યુવકે વાચન શરૂ કર્યું. મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની આંખે ધર્મના પડળ ફરી વળ્યાં હતાં, અને રાષ્ટ્રીય મહાસભાએ મુસ્લિમ માગણીઓનો સ્વીકાર કરવાની નબળાઈ બતાવતાં, ઝીણા અને હક્ક જેવાને હાથે લપડાકો ખાધી હતી...

‘આવા ઉલ્લેખો પ્રત્યે મારી સખ્ત નાપસંદગી જાહેર કરું છું.' એક સભાસદે કહ્યું.

બિરાદર હુસેને આ વાંધો લીધો હતો. બુદ્ધિવાદી યુવકોમાં બેત્રણ મુસ્લિમ યુવકો પણ હતા.

‘એમાં વાંધો લેવા જેવું શું છે તે હું સમજી શકતો નથી. સત્ય હકીકત છે, અને રાજકીય પૃથક્કરણ સુંવાળી ભાષામાં કરવાની જરૂર નથી.' એક સભ્યે વાંધાનો જવાબ આપ્યો.

‘એકલી મુસ્લિમ લીગનો જ તમને વાંક દેખાય છે એ જ બતાવી આપે છે કે તમે કેટલું સાચું બોલો છો !’ હુસેનથી સહજ દૂર બેઠેલા વલીમહમદ લાલજી તરવાડીએ કહ્યું.

‘અરે હિંદુ મહાસભાની હકીકત પણ આવે છે. સાવરકર અને મુંજેની પણ ઝાટકણી કાઢવામાં આવી છે.’ બીજા એક સભ્યે કહ્યું.

‘હું પ્રમુખ સાહેબને પૂછી શકું કે આ સંસ્થા સહુની ઝાટકણી માટે છે કે કાંઈ કાર્યના ઉદ્દેશથી રચાઈ છે ?' પરાશરે પૂછ્યું.

‘પરિસ્થિતિના અભ્યાસમાં ઝાટકણી પણ જરૂરની છે.' એક સભ્યે કહ્યું.

‘આપણી પણ ઝાટકણી સાથે સાથે નીકળે તો સારું.’ પરાશરે કહ્યું.

‘બિરાદર હુસેને ધર્મનું તત્ત્વ દાખલ કરી ચર્ચા ચલાવી એ બહુ દિલગીરી ભરેલું છે. હું માનું છું કે આપણા સભ્યો ધર્મથી પર બની ગયા છે.' પ્રમુખ ભાસ્કરે ચુકાદો આપ્યો.

હુસેન અને વલીમહમદનાં મુખ ઉપર સહજ ઘેરી છાયા ફરી વળી. મુસ્લિમો અહીં પણ લઘુમતીમાં હતા. એનું ભાન તેમને થયું. અલબત્ત તેઓ બુદ્ધિમાન હોવાથી ધર્મમાં માનતા ન હતા. છતાં વધુમતી હિંદુકોમ મુસ્લિમો પ્રત્યે ઉદાર વર્તન રાખતી ન હતી એટલું તો તેમના મનમાં ઠસી ગયું હતું. તે માન્યતા આકારણ હતી કે સકારણ તેનો વિચાર સરખો ન કરતાં મમત્વ વધી પડ્યું હતું.

પરંતુ સહુનું ધ્યાન ચર્ચામાંથી બહાર નીકળી રસ્તા તરફ દોરાયું.