પૃષ્ઠ:Shobhana.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી

'સ્ત્રી અને પુરુષના હક્ક સમાન હોઈ શકે ?'

હજી જગત - જગતના વિધાયકો - આ પ્રશ્નનો ઉકેલ નથી કરી શક્યા તો કૉલેજના વિધાર્થીઓ તેનો ઉકેલ લાવી શકે ?

છતાં વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ઉકેલવા મથે છે તો ખરા જ. સંસાર-વિધાનમાં તેમનો ઘણો ફાળો છે, અગર તેમને ઘણો ફાળો આપવાનો છે એવી માન્યતા તેમના હૃદયના ઊંડાણમાં વસતી હોય છે. એટલે તેમની વક્તૃત્વસભાઓમાં આવા પ્રશ્નો ખૂબ ચર્ચાય છે. કૉલેજમાં એ પ્રશ્ન ઉપર વાદવિવાદ રાખવામાં આવ્યો હતો.

કેટલાક પ્રશ્નો જ રસમય હોય છે. 'ગામડાનો ખેડૂત કેમ જીવે છે ?', 'કૉલેજનું ભણતર ગામડાં માટે નિરુપયોગી છે', 'વિઘાર્થીઓ અને વ્યસન' એવા એવા પ્રશ્નોની ચર્ચા રાખવાની ભૂલ જે સભાનો મંત્રી કરે તો ચશ્માં પહેરેલા સૂકા ત્રણચાર વિધાર્થીઓ અને જિંદગીથી કંટાળી ગયાનો દેખાવ કરતો એકાદ પ્રોફેસર સભાગૃહમાં હાજર હોય, પરંતુ 'લગ્નની જરૂરિયાત', 'સ્ત્રીપુરુષના હક્ક', 'સન્નારીઓનું સત્યાગ્રહમાં સ્થાન' એવા એવા રસનિર્ઝર વિષયોનું નિરૂપણ થવાનું હોય તો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓથી સભાગૃહ એટલું ઊભરાઈ જાય કે ઘણાને ઊભા રહેવાનું સ્થાન પણ ન મળે.

ઉપરાંત શિક્ષણ માટે ઓછામાં ઓછી તકલીફ લઈ વધારેમાં વધારે પગાર ખેંચી જવા છતાં શહીદીનો સદાય દેખાવ કરતાં ગંભીર પ્રોફેસરો પણ વધારે સંખ્યામાં આવા ચર્ચાપ્રસંગે હાજર રહી શકે છે. આ તેવો જ પ્રસંગ હતો.

વિદ્યાર્થીઓ ધક્કામુક્કી કરતા, હસતા, લડતા, બૂમો પાડતા, વિચિત્ર નાદપ્રયોગો કરતા આખા સભાગૃહને જીવંત બનાવી દેતા હતા.