પૃષ્ઠ:Shobhana.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૮૩
 


‘પછી એ અંદર કેમ ન આવી ?’

‘એ તો કોણ જાણે. પણ ભાઈ ! મારી એક વાત ન માનો ?’ રતને પરાશરને પૂછ્યું.

‘શી વાત ? માનવા જેવી હશે તો જરૂર માનીશ.’

‘આ બધી છોકરીઓ, આસપાસ ફરે છે તો...' રતન જરા ખમચી.

‘શું તો ?’ રંભાએ હસીને પૂછવું. આ અજ્ઞાન સ્ત્રી વાતને રસિકતા તરફ વાળશે એમ લાગવાથી રંભાએ પ્રશ્ન કર્યો.

'હું એમ કહું કે... તો... એકાદની સાથે પરણી જાઓ ને ?’

રંભા ખડખડ હસી પડી. પરાશરે હસવાનો દેખાવ કર્યો. રંભાએ હાસ્યને લંબાવ્યું :

‘એકાદની જ સાથે ?'

‘જુઓ ને બહેન ! એક બૈરી પાલવવી ભારે પડે છે તો વળી વધારેની વાત ક્યાં કરાય ?’

‘તો પછી એવા ભારે કામમાં મને શા માટે નાખે છે ?' પરાશરે પૂછ્યું.

‘પરણ્યા હો તો કોઈ રોટલો તો ઘડી આપે !’ રતને પરણવાનું મહા કારણ બતાવ્યું.

‘રોટલા ઘડવા પરણવાનું ? હવે તો પરણ્યા છતાં પણ કોઈ રોટલો ન ઘડી આપે !’ રંભાએ હસતાં હસતાં નારીસ્વાતંત્ર્યના વિકાસનું એક પરિણામ વર્ણવ્યું.

‘તો પછી એવી વેઠ ગળે વળગાડવી શું કામ ?’ રતને દલીલ કરી.

રતનને શી ખબર પડે કે પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવા એવી એક વ્યાખ્યા થઈ છે ! રતનને એથી પણ આગળ વધેલી ભાવનાની ક્યાંથી ખબર હોય કે લગ્નથી પ્રભુતામાં ન મંડાતાં પગલાં લગ્નરહિત સ્થિતિમાં પણ પ્રભુતા શોધવા મથે છે ? કુંઠિત માનસવાળી એ મજૂરણ સંસ્કારી હૃદયોમાં રમતી ઊર્મિઓને ભાગ્યે ઓળખી શકે !

તે તો પરાશરને માટે જમવાનું લેવા પાછી પોતાની ઓરડી તરફ ગઈ.

પરાશર અને રંભા ફરી એકલાં પડ્યાં.

‘શોભના કેમ ચાલી ગઈ ?' રંભાએ પૂછ્યું.

પરાશરે જવાબ ન આપ્યો.

‘મને લઈ ગઈ હોત તો ? અત્યારે એકલાં જવું પડશે.'

‘હું સાથે આવું.’ પરાશરે કહ્યું.