આ વખતે એક વ્યકિત યાદ આવી. એનું નામ આચાર્ય હેમચંદ્ર! એક વાર માર્ગમા, જ મિલાપ થયેલો, પહેલી જ મુલાકતે એ તેજસ્વી સાધુમૂર્તિએ એમનું મન ખેંચેલું.
પગ ઉઘાડા, માથું ઉઘાડું, શરીર ફક્ત બે ચીવરથી ઢાંકેલું.
હાથમાં દંડ ને ચાલમાં ગૌરવ !
બીજની ચંદ્રરેખા જેવી લલાટ પર કાંતિ !
એણે મને જોતાં જ કેવા આશીર્વાદ આપેલા ?—
'હે કામધેનુ ! તું તારા ગોમય રસથી આ ભૂમિને તૃપ્ત કર !
'હે સાગરદેવ ! તું તારા મોતીગણોથી અહીં સ્વસ્તિક રચ !
'હે દિગ્ધાળો ! તમે તમારી લાંબી સૂંઢથી કલ્પવૃક્ષનાં પાંદડાં તોડી તોરણ રચો,
'કારણ કે સંસારવિજયી સિદ્ધરાજ આવે છે !'
ઓહ ! મારા વિદ્યા-વિજ્યમાં કોઈ મદદ કરી શકે તો એ કરે ! મારા વફાદાર મંત્રીઓ, વીર સુભટો અને કુશળ સેનાપતિની આમાં ગતિ નથી.
અને મહારાજ સિદ્ધરાજના કાને સહસ્ત્રલિંગ સરોવરની પાળે કોઈ ગાતું સંભળાયું. એ દુહા હતા. અપભ્રંશ ગુજરાતીના દુહા હતા.
પુત્તે જાયેં કવણું ગુણુ, અવગુણુ કવણુ મૂએણ ?
જા બપ્પીકી ભૂંહડી, ચંપીજઈ અવરેણ ?
- એ પુત્રના જન્મથી શો સાર ? અને મૃત્યુથી શો શોક ? જેના જીવતાં પિતૃભૂમિ પારકાના હાથે ચંપાય ?
જો ગુણ ગોવઈ અપ્પણા, પયડા કરઈ પરસ્સુ,
તસુ હઉં કલિ-જુગી દુલ્લહો, બલિ કિજ્જઉં સુઅણસ્સુ !
- જે પોતાના ગુણ ઢાંકે, અને પારકા ગુણ પ્રગટ કરે, તેવા કલિયુગમાં કવચિત મળતા પુરુષને મારાં વંદન !
પાઈ વિલગ્ગી અંત્રડી, સિરુ લ્હસિઉં ખંધસુ
તો વિ કટારઈ હથ્થડુ, બલિ કિજ્જઉં કંતસુ.