પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ આવે કે શત્રુનાં લશ્કરો આ શહેરને પાયમાલ કરે, રાજવંશ નાશ પામે, રાજમહેલો છે ત્યાં હળ ફરે.'

'આપને કોઈ જ્યોતિષીએ ભરમાવ્યા લાગે છે ! રજૂપતોની તલવાર અને આપનું નામ હશે ત્યાં સુધી શત્રુના શા ભાર છે ?'

'રજૂપતોની વાત કરો છો ને ? એક વખત એવોય આવશે, જ્યારે સાચા રજપૂતો નહિ મળે. અને મળશે તો પેટ ખાતર હલકાં કામ કરતા. અને તમારા રાજાના નામની વાત કરો છો ને ? એને સ્વાર્થી ગીધડાં એવાં વળગશે અને પેટભરાઓ એના નામે એવા તુત હાંકશે કે જેથી એનું નામ બદનામ થશે. માત્ર એક ઈશ્વર સિવાય બીજા કોનાં નામ અને કીર્તિ સદાકાળ ટકી રહૃાાં છે ?'

'આ રુદ્રમહાલય અને પાટણ આપની કીર્તિને અજર-અમર રાખશે.' વૃદ્ધ સામંતે કહ્યું.

'અનુભવોમાંથી બોધ ન તારવે એને નીતિશાસ્ત્ર મૂર્ખ અને અંધ કહે છે. ગિરિનગર અને વલભીપુરની જેમ એનાંય ખંડેર થશે. ને એ દેવાલયના અને કોટ-કિલ્લાના પથરા લઈને એનાં પ્રજાજનો પેટ માટે વેચવા નીકળશે. પણ આ તો ભાવિની વાત છે.' મહારાજની આંખમાં આંસુ હતાં. એમણે પાસે ઊભેલા શિલ્પીને બોલાવ્યો ને કહ્યું :

'શિલ્પી ! એક લેખ લેતર, એમાં લખ કે ગુજરાતના ધણી સિદ્ધરાજ સોલંકીએ કદી શત્રુને પીઠ બતાવી નથી, ને પરસ્ત્રીને કદી હૃદય આપ્યું નથી. એણે કદી જાગતાં કે ઊંઘતાં અંગત સુખ માટે પ્રજાને દુ:ખ આપ્યું નથી. એણે ટેક લીધા પછી તોડી નથી; રણમાં કદી પાછી પાની કરી નથી. એ માગે છે આજે-

'મારું પ્રેમશૌર્ય ભર્યું ગુજરાત અખંડ તપો !

'મારો પ્રેમરંગનો ઝંડો અજર અમર રહો !'

મહારાજ આટલું લખાવી ચૂપ થઈ ગયા. એમણે ફરી સિદ્ધપુર, રુદ્રમહાલય ને સરસ્વતી પર એક ઊડતી નજર નાખી.

એ નજર ઘણું કહેતી હતી.

થોડી વારે બધા બોલી ઊઠ્યા : 'જય ગુર્જરેશ્વર !'

મહારાજાએ એ ઝંડાને ફરી વંદન કર્યું.

સરસ્વતી નદી ચૂપચાપ વહી રહી.

૧૩૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ