પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મિલક્ત હું લૂંટી લઈશ.'

'ખરો મામો ! પછી ....'

'મામાએ ઓછાવત્તા નહિ પણ બત્રીસ હજાર રૂપિયા માગ્યા. લીલા વૈદે કાળા ચોર પાસેથી પણ લાવીને બત્રીસ હજાર રૂપિયા ગણી આપ્યા ને છૂટ્યા. ત્યારથી બીક એવી પેઠી છે કે ક્યાંય બહાર નીકળતા નથી ! રાજમહેલમાં જવું પડે તો ત્યાં જાય.'

‘વારુ, રાહ જુઓ ! થોડી વારમાં હું વૈદને તેડીને આવું છું !'

‘જીવરાજભાઈ ! વાતનાં વડાંથી ભૂખ નહિ ભાંગે. ગમે તેમ કરીને વૈદને તેડી લાવજો. દીકરો મરવાનું દુ:ખ નથી, પણ આ કુમળી કળીનો રંડાપો નહિ જોવાય. જીવરાજભાઈ ! અમારા બધાનો જીવ તમારા હાથમાં છે.'

સિદ્ધરાજ એકદમ મહામંત્રી સાથે પાછો ફર્યો અને તરત જ લીલા વૈદની ડેલીએ પહોંચ્યો.

વૈદરાજે પહેલાં તો ડેલી ન ખોલી; કહ્યું કે સવારે આવજો !

સિદ્ધરાજે પોતાનો બુરખો કાઢી નાખ્યો ને કહ્યું : 'વૈદરાજ ! પ્રજાના દુ:ખમાં ભાગ લેવો એ આપણ બંનેની-વૈદ અને રાજા બંનેની-ફરજ છે. તમારો વાળ વાંકો થાય તો સિદ્ધરાજના નામ પર થૂંકજો. તમારા જીવનો હું જામીન.'

લીલા વૈદે બાબરા ભૂતની વાત સાંભળી હતી. એ હિંમત કરીને બહાર નીકળ્યા.

સિદ્ધરાજ એમને તેડીને પેલાને ઘેર ગયો. વૈદને દવા કરવા બેસાડ્યા ને કહ્યું :

'રોગી નિર્ભય થાય પછી જ અહીંથી ખસજો. હું તમને પાછો લેવા આવું છું. ઉતાવળ ન કરશો. નાહક મામો મારગમાં હેરાન કરશે !'

સિદ્ધરાજ આટલું કહીને ચાલ્યો ગયો. અંધારામાં ક્યાં ગયો એ કંઈ ન જણાયું.

અડધી રાત દવા ચાલી. લીલા વૈદની દવા એટલે કાનમાં કહ્યું. રોગી સાજો થયો. પથારીમાં બેઠો થયો.

લીલા વૈદે વાતવાતમાં કહી દીધું કે મને તેડવા આવનાર બીજો કોઈ નહિ,

૩૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ