પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'હર ! હર ! મામી ! ગજબ થયો. રાજનો થાંભલો પડ્યો. મખમલ મશરૂની પાલખી કરો. હીરચીર ઓઢાડો. પૂરેપૂરાં ચંદનથી મારા મામાને બાળો. હું ગુનેગારોને શોધીને શૂળીએ દઈશ. રાજ તરફથી તમને વર્ષાસન મળ્યા કરશે. મામો થયો છે !'

સવારે મામા મદનપાલની પાલખી નીકળી. આગળ રાજા સિદ્ધરાજ હતો. મહામંત્રી સાંતૂ હતા. સહુથી વધુ એ રોતા હતા. આખું ગામ સ્મશાને ઊતર્યું. આ પાપને ગયેલું જોઈ સહુ મનમાં રાજી થયા !

બપોર થતાં વાત ફેલાઈ.

સહુને ખાતરી થઈ કે એ મલ્લ સિદ્ધરાજના ! મહામંત્રી સાંતૂનો એમાં સાથ ! બાબરાની એમાં મદદ. લોક આવી વાત કરતું.

ચાર જણા અડધી રાતે મામા પાસે આવ્યા. મામો ચઢાવીને બેઠો હતો, મામીને ઢીંકા-પાટુ કરતો હતો.

આ વખતે ચાર મલ્લ આવ્યા.

એક મગધનો હતો. એક પૂરવનો હતો. એક પંચમહાલ તરફનો હતો. એક કનોજનો હતો.

ચારે જણાએ વિનંતી કરી : 'આપ ખાનગીમાં પધારો. અમે કલાધર છીએ. કલા બતાવવી છે. રાજદરબારે નોકરી લેવી છે !'

મામો કહે : 'ભલે ! ચાલો મંત્રણાખંડમાં.'

બધા મંત્રણાખંડમાં ગયા.

પૂરબી ભૈયો કહે : 'મહારાજ ! હું સિરમાલિશ ને તેલમાલિશ કરું છું. માણસને જિંદગીભર રોગ ન થાય. ચામડી પર એકે કરચલી ન રહે. જાણે નવી જુવાની આવી !'

મામાને જુવાન દેખાવાનું બહુ ગમે. એ ખુશ થઈને બોલ્યા : 'ચાલ, મને માલિશ કર !'

બીજો માગધી કહે : 'અમારી ચારની ટુકડી છે. હું પગચંપી કરનારો છું. એવી ચંપી કરું છું કે ઊંઘ નહિ આવવાનો રોગ હોય તેય ઘસઘસાટ ઊંઘી જાય ! થાક તો એવો જાય કે ન પૂછો વાત !'

૩૪ ᠅ સિદ્ધરાજ જયસિંહ