પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એકે કમર ઝાલી.

બધા મંડ્યા કળા બતાવવા !

થોડી વાર તો મામાને બધું મીઠું-મીઠું લાગ્યું !

પણ પછી તો પગના મસલ જોરથી દબાવા લાગ્યા. ટાચક ફોડનારે ગળું ઝાલીને એવું ફેરવ્યું કે મોં જ પાછળ ફરી ગયું; જીભ લોચા વળવા લાગી.

ચંપી કરનારે પગ ખૂબ જોરથી દબાવવા માંડ્યા, ને ત્યાં ટૂંકામાંથી લાંબા કરનારે પગ ઝાલીને તાણ્યા !

મામો તો લોટની કણકની જેમ ગૂંદાવા લાગ્યો. ગળાનું હાડકું એવી રીતે ખડી ગયું કે અવાજ જ ન નીકળે !

એવી ચંપી થઈ, એવા ટાચકા ફોડ્યા કે મામાના દેહમાંથી પ્રાણ ચાલ્યો ગયો !

ને છેવટે પોતાનું કામ પતાવી કલાકરો બારણે ઊભેલાં મામીને કહેતા ગયા :

'મામાજી નીંદમાં છે. સવારે ઇનામ લેવા આવીશું.'

એ ગયા એ ગયા !

સિદ્ધરાજે સાંજે માતા મીનળદેવીને પૂછ્યું :

'મા ! સગાંવહાલાં પહેલાં કે પ્રજા પહેલી ?'

મીનલદેવી કહે : 'રાજાને પ્રજા પહેલી. રાજાનું સાચું સગુંવહાલું જ રૈયત !'

'તો માતા ! મદનપાલને મરાવનાર હું છું. એ રાવણ હતો, પ્રજાને પીડનારો હતો.'

'મને ખબર જ હતી, બેટા ! તેં લોક્કલ્યાણનું કામ કર્યું છે.' ને આમ કહેતાં માતાએ પુત્રની આંખમાં કાજળ આંજ્યું ને કેશ સૂંઘ્યા.

મામો માયા ᠅ ૩૭