પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માતાનો નિશ્વાસ એક-એક મણનો નીકળતો હતો. એ આગળ બોલ્યાં :

'બેટા ! આ બધી પુણ્યની કમાઈ છે. ધર્મ છે તો રાજા છે. ધર્મી રાજા તે દેવસ્થાનનાં દ્વાર ખોલાવે કે બંધ કરે ?'

સિદ્ધરાજ કહે : 'મા ! તમારી વાત મને સમજાતી નથી. ચોખ્ખી રીતે કહો.'

માતા કહે : 'સોમનાથના યાત્રાળુઓ પાસેથી રાજ તરફથી દાણ લેવાય છે. ગરીબ લોકો, નિર્ધન સંત-સાધુઓ દાણ ભરી શક્તા નથી. એ કારણે એમને પાછા જવું પડે છે. એમના નિસાસા મને દઝાડે છે. એમનાં વીલાં મોં મારાથી જોવાતાં નથી.'

સિદ્ધરાજ કહે : 'મા ! કર ન હોય તો રાજકારભાર કેમ ચાલે ?'

માતા હે : 'બેટા કર લેવાનાં ઠેકાણાં-ઠેકણાંમાં ફેર છે. દેવસ્થાનના કર ન હોય. એ તો પુણ્યની પરબ, સદાચારનું વૃક્ષ ! જે કોઈ નબળું-દૂબળું પંખી આશરો લેવા આવે, એને ત્યાં આશરો મળવો જોઈએ !'

સિદ્ધરાજ છે : 'મા ! હમણાં-હમણાં ઘણો ખર્ચ થઈ ગયો છે. પાટણની તિજોરી ખાલી છે. સોરઠની લડાઈનું ખર્ચ માથે છે, ત્યાં સરોવર સમરાવવું શરૂ કર્યું છે. ખર્ચનો ખાડો મોટો છે.'

માતા કહે : 'વત્સ ! તું શાણો થઈને ભૂલે ? એ ખાડો પૂરવાનો આ માર્ગ નથી. આપણા મોજશોખ પાછળ કેટલું ખરચાય છે ? એમાંથી બચાવ કરીએ. એથીય ખાડો રહે, તો મહેલ છોડી ઝૂંપડીમાં વસીએ. એથીએ ખાડો રહે, તો હાથીનો હોદ્દો છોડી પગે ચાલીએ. એથીય ખાડો રહે તો પાંચ પક્વાન છોડી સાદું જમીએ. પણ બેટા, ધર્મની આડે હાથ ન કરીએ.'

સિદ્ધરાજ કહે : 'માતા ! તમે જાણો છો કે આ કરની આવક કેટલી છે ?'

માતા કહે : 'ના બેટા !'

'બોતેર લાખ !'

માતા કહે : 'આ લાખ તો રાખ બરાબર છે. અધર્મનું ધન છે. એ તને નહિ, મને નહિ, આપણી સાત પેઢીને ડુબાડનાર છે. મેં નિશ્ચય કર્યો છે કે જો કર દૂર નહિ થાય તો યાત્રા નહિ કરું; અન્નજળ નહિ લઉં; દેહ અહીં પાડી દઈશ.'

બોતેર લાખનું દાણ માફ ᠅ ૬૭