સિદ્ધરાજ કહે : 'આટલું બધું શા માટે ?'
માતાએ સ્વપ્નની વાત કરી અને કહ્યું :
'વત્સ ! આ તો મારી જનમ-જનમની વાસના છે. આ ભવે પૂરી થાય તો ઠીક, નહિ તો આવતા ભવે. જ્યાં સુધી પૂરી નહિ થાય ત્યાં સુધી જનમ-મરણ કર્યા કરીશ; એ મારી જીવન-યાત્રા થશે.'
સિદ્ધરાજ પોતાની માતાની મહાનુભાવતાને વંદી રહ્યો. એ દોડીને માતાના ચરણમાં પડ્યો ને ચરણરજ માથે ચઢાવતો બોલ્યો :
'મા ! તારા પુત્ર હોવાનું મને એક તરફ અભિમાન થાય છે, ને બીજી તરફ અફ્સોસ પણ થાય છે. અભિમાન એ માટે કે કેવી મહાન માતા ! ને અફ્સોસ એ માટે કે કેવો લઘુ પુત્ર ! મા ! આજથી આ કર માફ. રંક-અમીર એક્સાથે યાત્રા કરે, રોકટોક વિના યાત્રા કરે ! પુણ્યના પડિયા ભરે ! ભવનાં ભાતાં બાંધે !'
'પંચકૂલ !' સિદ્ધરાજે બૂમ પાડી. એ અવાજમાં દેવાલયની ઝાલર જેવો પવિત્ર રણકો હતો.
દાણખાતાનો ઉપરી પંચકૂલ કહેવાતો. એ હાથ જોડતો સામે આવીને ઊભો. એના હાથમાં ઇજારાનો કરાર હતો. ઓછાવત્તા નહિ પણ પૂરા બોતેરે લાખ એણે રાજને ભર્યા હતા.
સિદ્ધરાજે એ કરારને હાથમાં લીધો, એના ચીરેચીરા કરી નાખ્યા અને હુકમ કર્યો :
'તમારું નુકસાન રાજ આપશે. અત્યારે જ થાણું ઉપાડી લો. અઢારે આલમ ભલે છૂટથી યાત્રા કરે. જય સોમનાથ !'
મીનલદેવી પુત્રની ઉદરતા જોઈ રહ્યાં. એ હરખાયાં ને બોલ્યાં :
'બેટા, સંસારમાં તારી કીર્તિ અવિચળ રહે તેવું કામ તેં કર્યું છે ! તારા આ એક કામથી તારી અને મારી સાત પેઢી તરશે. પરબનાં પાણી ને તીરથનાં ધામ હમેશાં છૂટાં જોઈએ. તને કોણ લઘુ કહે ? તું તો મહાનનો મહાન છે. ચિરંજીવ થા બેટા, ને ધર્મથી રાજ શોભાવ ! ભગવાન સોમનાથ તને બાંહ્ય સાહીને ઉદ્ધારશે !'
માતા અને પુત્ર આગળ વધ્યાં.