પૃષ્ઠ:Snehashristi.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્નેહસૃષ્ટિ:૯૨
 


‘આ ખરો હિસાબ !’ રાવબહાદુરથી બોલાઈ ગયું.

‘આપને જે ઠીક લાગે તે આપો.’

‘મધુકર ! આપી દો સાતસો રૂપિયા.’ રાવબહાદુરે કહ્યું.

‘નહિ સાહેબ ! સો આપશો તો બસ છે.’ બીજા ગુંડાએ કહ્યું.

‘કેમ એમ ?’ જ્યોત્સ્ના બોલી.

‘અમારી શરત છે સુરેન્દ્રની સાથે… પેલા કાલે તમારી સાથે હતા ને, તેમની જોડે.’

સુરેન્દ્રના નામ સાથે રાવબહાદુરનાં ભવાં ચઢ્યાં. યશોદાબહેને અર્થભરી આંખે મધુકર સામે જોયું. મધુકરે પણ આશ્ચર્ય અને અણગમાદર્શક અભિનય કર્યો.

‘વારુ, એ જે માગે તે આપી દો.’ ગિરિપ્રસાદે કહ્યું.

‘પરંતુ… તમને અહીં આવતા પહેલાં સુરેન્દ્રે મળવાનું કહ્યું હતું ને ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘હા જી. અમે ગયા હતા… બે વાર. પરંતુ એ ભાઈ મળ્યા નહિ… અને અહીં આવ્યા છે એવી ખબર પડી… એટલે અમે અહીં આવ્યા…’

‘મધુકર ! એ જે હોય તે. સો રૂપરડીનો જ સવાલ છે ને ? આપી દો. અને પંચાત ચુકાવો.’ રાવબહાદુરે વાત બંધ રાખવા કહ્યું.

મધુકરે બન્ને ગુંડાઓને ઇશારત કરી પોતાની સાથે આવવા જણાવ્યું. જતે જતે તેણે યશોદાબહેનની જરા તીખાશભરી વાણી સાંભળી.

‘પણ જ્યોત્સ્ના ! તારે આ બધી પંચાત શી ?’

‘તે… મારા દેખતાં હું એક સ્ત્રીની જાતને વેચવા દઉં, એમ ?’ જ્યોત્સ્નાએ પણ જરા તીખાશથી જવાબ આપ્યો.

મધુકર અને ગુંડાઓ બહાર નીકળતે નીકળતે આટલી મા-દીકરીની વાતચીત સાંભળી ગયા. પરંતુ કદી ન બોલતી જ્યોત્સ્ના આજે આટલો સામો જવાબ આપી રહી હતી એ વાત માતાને જરા ચોંકાવનારી લાગી. એથી એ વધારે ચોંકાવનારી વાત તો એ હતી કે કાંઈ ન સમજતી મનાતી પુત્રી સ્ત્રી જાતના વેચાણ જેવી સજ્જનસમાજમાં કદી ન ઉચ્ચારી શકાય એવી હકીકત કહી રહી હતી. આવો વિચાર પણ આવા સભ્ય ગૃહમાં ઊછરેલી પુત્રીના મનમાં આવે એ વસ્તુ અસહ્ય હતી; એનું ઉચ્ચારણ તો અસભ્યતાની હદ ઓળંગવા સરખું લાગ્યું. કમકમી ખાઈને યશોદાબહેને પુત્રીને કહ્યું :

‘તું બોલીશ નહિ. જ્યોત્સ્ના ! આવું આવું. સારા કુટુંબમાં તો એવી