પૃષ્ઠ:Snehashristi.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
 
ચિત્રપટ
 

ધનિકોને વાહનની હરકત કદી પડતી નથી. રાવબહાદુર અને યશોદાબહેન તો પોતાની કારમાં ખુશ થઈને ચાલ્યાં ગયાં. તેમને ગમતા યુવાનની સાથે તેમની પુત્રી એકલી ફરે તેમાં તેમને કાંઈ હરકત લાગી નહિ. અને જ્યોત્સ્નાએ બગીચા બહાર જઈ ટૅક્સી કરી લેવાની ખાતરી આપી હતી, અને અનેક ટૅક્સીઓ ભાડે કરી શકે એટલા રૂપિયા જ્યોત્સ્નાની રૂપાળી હાથથેલીમાં રહેતા હતા એમ જાણનાર રાવબહાદુર અને યશોદાબહેને આજ હિંમત કરી જ્યોત્સ્નાને મધુકર સાથે એકલી રહેવા દીધી. પ્રેમમાં જ નહિ, લગ્નમાં પણ, એકાન્ત મહત્ત્વનો ભાગ ભજવે છે.

બગીચાની બહાર નીકળતાં અત્યંત આનંદ અનુભવતા મધુકર સાથે જ્યોત્સ્ના કંઈ વાત કરશે એમ માની મધુકરે કાંઈ પણ વાત શરૂ કરી નહિ. પરંતુ જ્યોત્સ્નાએ કશી વાત કરી નહિ એટલે અંતે તેનાથી રહેવાયું નહિ. મધુકરે પૂછ્યું :

‘જ્યોત્સ્ના ! આજે ક્યાંથી મારા ઉપર કૃપા કરી ?’

‘શાની કૃપા ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મારી સાથે એકલા ફરવાની અને સાથે ચિત્ર જોવાની.’

‘આપણે ક્યાં એકલાં જઈએ છીએ ? અને… જો ને, આપણી આસપાસ અને આગળ પાછળ આપણા જેવાં જ કેટલાંય માણસ આવતાં જતાં હોય છે, પછી એકલાં શાનાં ?’

‘એ તો બધાં સમજીને આપણાથી દૂર રહે છે - જેમ આપણે સહુથી દૂર રહીએ છીએ તેમ. અને થિયેટરમાં તો આપણે એકલાં જ હોઈશું ને ?’

‘સેંકડો માણસો જોવા આવશે તેમાં આપણે એકલાં ક્યાંથી ?’

‘આપણે એવી ખુરશીઓ પસંદ કરીશું કે જ્યાં ચારે પાસ દસ દસ ખુરશીઓ ખાલી હોય.’

‘કેમ એમ ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મારે આજે તારી પાસે મારું હૃદય ખોલવું છે.’