પૃષ્ઠ:Snehashristi.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રોમાંચની લાલસા: ૧૧૩
 

પ્રૌઢ પુરુષ ?’

‘એ તો “દંભી સમાજ”ના તંત્રી… કાતિલ લેખિનીવાળા.’

‘પરંતુ એ બંને પત્નીઓને લઈ આવાં ચિત્રો કેમ જુએ છે ?’

‘એ એમની પત્નીઓ નહિ… મિત્રો છે… સ્ત્રીમિત્રો… જોજે કંઈ ભૂલ કરતી.’

‘જેમ હું અને તું મિત્ર છીએ તેમ… નહિ ?’ જ્યોત્સ્નાએ સહજ પૂછ્યું.

‘લગભગ એમ જ.’

‘પરંતુ આજની મૈત્રીમાં ભૂલ પણ ઘણી પડી જાય. સ્ત્રીઓ પુરુષોની સાથે ફરતી થાય એટલે સમજ ન પડે કે કોણ મિત્ર અને કોણ પતિપત્ની.’

‘એમાં શું ? એ ઉકેલ તો તરત થઈ જાય… પૂછપરછ કરતાં…’

‘તેં પછી નોંધ કરી રાખી છે ને ?’

‘શાની ?’

‘કયા કયા દૃશ્યો આપણી નાટ્યરચનામાં ઉપયોગી થાય તેની.’

‘છેલ્લું દૃશ્ય તો ન જ નોંધું ને ?’ સહજ હસીને મધુકરે પૂછ્યું.

‘એ કયું દૃશ્ય ?’

‘કેમ… જેના ઉપર પછી અજવાળું પડ્યું તે…’

‘અં હં… એ ન નોંધીશ… હજી આપણે ત્યાં વાર છે… પરંતુ આ બધાં તારાં પરિચિત હોય તેમને કહી દેજે કે આપણે એક સરસ નાટક ભજવવું છે.’

‘વારુ… હું કહી આવું.’ એટલું બોલી મધુકર બેચાર સ્ત્રીમિત્રોને મળી આવ્યો. આવતાં આવતાં ચિત્રપટનો બીજો આરામ પૂરો થયો. એકાએક અંધકાર ફ્લાઈ ગયો. જ્યોત્સ્નાના હાથને અટકી સ્પર્શને ઇશારે મધુકર પાછો પોતાના સ્થાને આવી બેસી ગયો. અને છેલ્લો દૃશ્યવિભાગ શરૂ થયો. ચિત્ર ઘણું વખણાયેલું હતું - ન વખણાયેલું ચિત્ર જ ક્યું છે ? નટ-નટી દેવ-દેવી કરતાં પણ વધારે પૂજનીય બન્યાં હતાં - જોકે હમણાં જ એ નટ તથા નટીએ પોતાનાં પત્ની ને પતિને છૂટાછેડા આપ્યાના રસભર્યા સમાચાર વિશ્વભરના તેમના ભક્તોએ વાંચ્યા હતા ! આ યુગ નટ-નટીનો ચલનયુગ છે. ચિત્રપટ ઉપર તેઓ ભવ્ય ઊર્મિ-અભિનય કરી શકે છે - જેના અનેક ચોટદાર પ્રસંગોમાં નટીના અંગેઅંગનું સૌંદર્ય પ્રકટ થાય એવી ઢબની પ્રેમયાતના, વિલાપ, ચુંબન અને વસ્ત્રોથી ન ઢંકાતા યૌવનને દૃશ્યમાન કરતાં પ્રસાધન સ્નાનાદિ કાર્યપ્રસંગો વધારેમાં વધારે ચોટદાર બની રહે છે.