પૃષ્ઠ:Snehashristi.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨:સ્નેહસૃષ્ટિ
 

લજ્જાને જ લૂંટાયલી કલ્પવી?.. કે પછી પુરુષે લૂંટાવા માટે પોતાની લજ્જા પણ પોતાની પાસે રાખી નથી ?

નીતીને ત્યારથી મીનાક્ષી ઉપર નજર રાખવા માંડી - વેર લેવા માટે. એ ધનિક હતો એટલે એને ધન વેરવામાં જરા હરકત આવે એમ ન હતું. ધનને માટે માનવજાત અનેક પાપ કરી રહી છે... એ પાપ બહાર દેખાતાં હોય કે ન દેખાતાં હોય તોય. ખુલ્લાં પાપ કરનાર ગુંડાઓ પણ ધનિકોને મળી આવે એમ છે, કારણ છૂપાં પાપ કરનાર ધનવાનોને ભાડુતી ખુલ્લા પાપીઓની ઠીક ઠીક જરૂર પડે છે. નીતીને ગુંડાઓ મેળવ્યા; અને મીનાક્ષી ફરવા જતી હોય, સિનેમા જોવા જતી હોય, સભામાં જતી હોય ત્યાંથી તેને ઊંચકી લાવી નીતીન પાસે મૂકી દેવાની ક્રિયા આજના મોટરકારના યુગમાં ગુંડાઓને બહુ જોખમભરેલી ન જ લાગે એ સ્વાભાવિક હતું.

નીતીને એક વખત બેત્રણ મિત્રોના દેખતાં મીનાક્ષીને ધમકી પણ આપી હતી :

'મીનાક્ષી ! ભર રસ્તામાંથી હું તને ઉઠાવી ન જાઉ તો... જોજે !'

મીનાક્ષીને આમાં કાંઈ ભય લાગ્યો નહિ. અર્ધ મિત્ર, અર્ધ પ્રેમી, અને દૂર ફેંકાયેલો પુરુષ ધમકી આપે એ માત્ર શબ્દની જ હોય એમ માની મિનાક્ષીએ તેનો એ પ્રસંગે ફરી તિરસ્કાર કરી અંગૂઠો બતાવ્યો હતો. સુરેન્દ્રને કાને એ વાત આવી; અને તેના વૃન્દાવનના ભ્રમણમાં તેને ખબર પડી કે આજ ચિત્રગૃહમાંથી એક યુવતીને ઉઠાવી લાવવાના પ્રયોગમાં સારી રકમ વેરાવાની છે ! એટલે એણે નીતીનના કાર્યને પારખી લીધું, ને ઝડપથી ઘેર જઈ એ ચિત્રગૃહ પાસે આવી ગયો - જે ચિત્રગૃહમાં કેટલીક મિત્રયુવતીઓ ગઈ હતી અને જ્યોત્સ્ના તથા મધુકર સાથે જવાનું તેને આમંત્રણ પણ મળ્યું હતું. એ ચિત્રગૃહમાં તો ગયો, પરંતુ કોઈની સાથે નહિ છુપાઈને ગયો... કદાચ એક ક્ષણ માટે તેને લાગ્યું પણ ખરું કે જ્યોત્સ્નાએ તેને જોયો અને ઓળખ્યો પણ હતો - જોકે બીજી કોઈએ નહિ! એણે એ પણ જોયું કે નીતીને આવીને મીનાક્ષીને છાની રીતે ઓળખાવી દીધી હતી અને એની સાથમાં આવેલાં ગુંડાઓની 'કાર’ અપહરણના કાર્ય માટે તૈયાર જ હતી. કાંઈ પણ વધારે ધાંધળ કર્યા વગર એણે કારનાં પૈડાં બગાડી મૂકી ગુંડાઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી. મીનાક્ષીએ જ્યારે કહ્યું કે ગુંડા તેને ઉપાડી જવાના હતા એની ખબર તેને ન હતી. ત્યારે સુરેન્દ્રે માત્ર એટલું જ કહ્યું :

‘તને નીતીનની ધમકી યાદ છે ને ?'

સહુ કોઇ એકાએક ચમક્યા. નીતીન સરખો ભણેલો લહેરી યુવક