પૃષ્ઠ:Snehashristi.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમના વ્યૂહ: 1૩૩
 

‘મેં ના નથી પાડી. તું કહે તે રીતે આપણે નાટકની યોજના કરીએ.’ મધુકરે કહ્યું. અને જ્યોત્સ્ના તથા મધુકર બંને થોડા સમય સુધી નાટકની યોજના વિચારતાં બેઠાં. ગ્રામજીવન અને શહેરીજીવનના ભેદ બતાવતું એક દૃશ્ય રચવાનું હતું અને તેમાં વસ્તુ, પાત્રો અને સાધનોનો પ્રાથમિક વિચાર બંનેએ મળીને કરી લીધો. પાત્રોમાં શ્રીલતાનું નામ જ્યારે જ્યારે જ્યોત્સ્ના લેતી ત્યારે ત્યારે એક અગર બીજે કારણે મધુકર તેનો વિરોધ કરતો.

‘શ્રીલતાને ગ્રામ્ય યુવતી તરીકે આપણે સમજાવીએ તો કેવું ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘શ્રીલતાને ? ગમે તેવા ગામડિયા વેશમાં પણ શ્રીલતા શહેરી છે એ દેખાઈ આવ્યા વિના રહેવાનું નથી.’ મધુકર જવાબ આપતો.

‘તો આપણે એને નગરયુવતી તરીકે શણગારીએ.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘હા, ભાઈ ! તું એને વધારે સમજે.’

‘એને શહેરી લલનાનો સ્વાંગ આપીશું તો શ્રીલતા મર્યાદાનું અતિક્રમણ કરશે. આમ તું નથી જોતી કે કેટલો વધારે પડતો દેખાવ કરે છે?’

‘મધુકર ! તને એ ક્યાંથી ખબર પડી કે શ્રીલતા વધારે પડતો શહેરીપણાનો દેખાવ કરે છે ?’

‘જ્યારથી મેં એને મળવાનું ઘટાડી દીધું ત્યારથી જ હું એની અતિશય શહેરી લટક ઓળખી ગયો છું. નાટકમાં પણ વધારે પડે એવી એની ભભક છે. એની ભભક મને અણગમતી થઈ પડી છે.’

‘એ... મ ? તો આ રીતે એને કશો પણ સ્વાંગ નહિ આપી શકાય...ખરું?’ કહી જ્યોત્સ્ના મધુકરની સામે ક્ષણ બે ક્ષણ ધારીને જોઈ રહી. અને પછી બન્નેએ મળીને આખા નાટકની યોજના વિચારી અને નક્કી કરી નાખી.

સુરેન્દ્રને જ્યોત્સ્નાએ બિલકુલ યાદ જ કર્યો નહિ એ મધુકરની આજે પ્રથમ ખુશાલી; ધારીને જ્યોત્સ્નાએ મધુકરની સામે જોયું એ મધુકરની બીજી ખુશાલી; સાંજે સાથે ફરવા આવવાનું આમંત્રણ જ્યોત્સ્નાએ પોતે જ આપ્યું એ એની ત્રીજી ખુશાલી; અને ચોથી ખુશાલી તેને એકબે દિવસમાં મળી જવાની હતી એ ખાતરીએ મધુકરને અત્યંત પ્રફુલ્લિત બનાવ્યો હતો.