પૃષ્ઠ:Snehashristi.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪:સ્નેહસૃષ્ટિ
 

સ્ત્રી-યુવતી આંખ માંડે ત્યારે આખા વિશ્વની ગહનતા એમાં ઊતરી આવે છે. અને એ ગહનતામાં પુરુષને જે રંગ જોવા હોય તે રંગ પણ ખીલી આવે છે. મધુકરે જ્યોત્સ્નાની આંખ સામે આંખ માંડી પણ ખરી. એને આંખ જ નહિ, પરંતુ જ્યોત્સ્નાનું આખું મુખ ગમ્યું... કે આખો દેહ ? અને સમગ્ર છટા ? મધુકર જીત મેળવ્યે જતો હતો. જ્યોત્સ્નાની આંખમાં માન હતું? સન્માન હતું? સત્કાર હતો ? સ્વાગત હતું? પ્રેમ હતો ?

અને પ્રેમ એટલે ?

એની ચર્ચા નિરર્થક છે. એની સમજનો નકશો દોરાય એમ નથી, પ્રેમનાં પડ કોઈ ઉકેલી શક્યું નથી. ઉકેલવાની જરૂર નથી. એ ઉકેલનાર દોઢડાહ્યાઓને પ્રેમ મળતો હોતો જ નથી... એ પ્રેમના કૂચા ચાવતા હોય છે !

એ પ્રેમ જીવનભર પહોંચે પણ ખરો અને ન પણ પહોંચે. એને માટે ઊંચો જીવ રાખવાની જરૂર નથી. નદીનાં પાણી વહેતાં હોય તેમાં કયી ક્ષણનું પાણી આપણે પીવું એ પ્રશ્ન ઊપજતો જ નથી. નદી વહેતી હોય અને આપણને તૃષા લાગી હોય તો પાણી પી લેવું પછી એ ઘડામાં ઝીલવું. પ્યાલામાં ભરવું કે ખોબે ખોબે પી લેવું, એ સાધનાનો પ્રશ્ન છે !

સાધન મહત્ત્વનું નથી.... ઉપભોગ મહત્ત્વનો છે. રાજરાણીના પ્રેમ છપ્પરપલંગ ઉપર થાય, સામાન્ય જનતાના પ્રેમને ભોંય પાથરેલી પથારી બસ છે; અને સાહસિકોના પ્રેમને પથ્થર કે પહાડ પણ વાગતો નથી. મધુકરના મનમાં ક્ષણ બે ક્ષણ આટઆટલા વિચારો આવી ગયા અને યોગ્ય સમયે જ વિજયપ્રહાર કરવામાં માનતા મધુકરે મુખ અને કંઠમાં અદ્ભુત માર્દવ લાવી જ્યોત્સ્નાને કહ્યું :

‘જ્યોત્સ્ના ! હું એક અંગત વાત કહું?’

‘જરૂર કહે.’

‘ખોટું તો નહિ લગાડે ને ?’

‘ખોટું લાગ્યું એમ માની લે... તોય તને મનાવતાં મને આવડશે કે નહિ ? મારી શક્તિમાં વિશ્વાસ રાખ.’

‘મનાવવાનું જોખમ વહોરવાની મારી ગુંજાયશ નથી. ખોટું ન લાગે તો જ હું હિંમત કરી શકું એમ છું!’

‘પૈસા ખૂટ્યા છે?’ સહજ હસી જ્યોત્સ્ના બોલી.

’શું તુંયે, જ્યોત્સ્ના ! બનાવે છે ? આ ક્ષણ જરા ગંભીર બનવાની છે.’

‘હું પ્રત્યેક ક્ષણે ગંભીર જ રહું છું. કહે, શી અંગત વાત છે ? પ્રેમમાં