પૃષ્ઠ:Snehashristi.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
સમજની શરૂઆત
 

યાંત્રિક વાહનને અંતરનો હિસાબ હોતો નથી. જ્યોત્સ્ના અને સુરેન્દ્રને વાહને ઝડપથી આગળ લીધાં. રાવબહાદુર ગિરિજાપ્રસાદ સરખા એક નામાંકિત શહેરીની પુત્રી જ્યોત્સ્ના જરા અતડી, ઓછાબોલી અને તેથી સહજ ઘમંડી લાગતી હતી. તેને મિત્રો હતા, સખીઓ હતી અને પરિચયવર્તુલ હતું ખરું, પરંતુ એની રચના એની પોતાની નહિ. વર્તુલમાં તે કદી ખેંચાઈ આવતી; અને જોકે રમતગમતમાં રંજન પ્રયોગોમાં, પ્રવાસોમાં, મિજબાનીઓમાં તે ભાગ લેતી ખરી, છતાં તે જાણે સહુથી અલગ રહેતી હોય એવો ભાસ પણ તે સતત આપતી. ઘણુંખરું તો તેની અંગત સખી શ્રીલતાના આગ્રહથી જ એ મિત્રવર્તુલમાં પ્રવેશ કરતી હતી. શ્રીલતા બહુ જ તોફાની - બધામાં ભળી જાય. પરંતુ જ્યોત્સ્ના સહુ સાથે ભળવા છતાં ભળતી ન હોય એમ સહુને લાગતું. સ્મિતભરી વાતચીત તેની ખરી; પરંતુ તેણે બાંધેલી મર્યાદાની અંદર તે કોઈને પ્રવેશ કરવા દેતી નહિ. ભાગ્યે જ એણે કોઈ પુરુષમિત્ર સાથે ‘શેકહૅન્ડ’નો અખતરો કર્યો હોય; કદી તેણે પોતાની કારમાં કોઈ પુરુષમિત્રને આજ સુધી બેસાડ્યો ન હતો. સિનેમામાં પણ તે એકલી પુરુષમિત્રો સાથે કદી જતી નહિ. આજ એણે સુરેન્દ્રને એકલાને પોતાની સાથે કારમાં બેસાડ્યો એની સહુને નવાઈ તો લાગી જ… પણ કદાચ જ્યોત્સ્નાને પોતાને પણ સહજ નવાઈ લાગ્યા વગર રહી નહિ ! શા માટે ?

સુરેન્દ્ર તો એક નાનકડા ગીચ વસતીવાળા વિભાગમાં રહેતો હતો; રાવબહાદુરનો વિશાળ બંગલો શહેરની બહારના એકાન્ત - અર્ધ એકાન્ત સ્થળમાં આવ્યો હતો. સુરેન્દ્ર જ્યાંથી પોતાને ઘેર સરળતાથી જઈ શકે. એ વિભાગ જોતજોતામાં આવ્યો અને સુરેન્દ્રે કહ્યું :

‘જ્યોત્સ્ના ! આભાર માનું છું… મને અહીં જ ઉતારી દઈશ તો બસ.’

‘અહીં પછી મોકલીશ, પહેલો તને મારે ઘેર લઈ જવો છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘તારે ઘેર કેમ ?’ સુરેન્દ્રે જ્યોત્સ્નાનો પરિચય કૉલેજમાં સહજ