પૃષ્ઠ:Snehashristi.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨:સ્નેહસૃષ્ટિ
 


સિવાય ! અને આ અમે અહીં જોઈ ત્યારે… વાહ બહેન ! અમને સાચું લાગ્યું. જાણે ઇન્દ્રરાજાના દરબારની અપ્સરા !’

કોઈ પણ યુવતીનું રૂ૫ વર્ણવવું હોય તો એની સરખામણી અપ્સરા સાથે થતી - પચાસ વર્ષ પહેલાંના પ્રાચીન કાળમાં અને એટલેથી જ્યારે સંતોષ થતો નહિ ત્યારે એને ઇન્દ્રની અપ્સરા સાથે મૂકવામાં આવતી, અલબત્ત રૂપ પૂરતી ! પરંતુ આજની યુવતીને રૂપ પ્રથમ જેવું જ ગમે છે - અપ્સરા જેવું જ - છતાં એને અપ્સરા સાથેની રૂપઉપમા નથી ગમતી, પછી એ અપ્સરા ભલે ઇન્દ્રરાજાના દરબારની હોય !

જ્યોત્સ્ના કોઈને ખબર ન પડે એમ ખંડમાંથી ચાલી ગઈ. મધુકરનાં માતાપિતાને જ્યોત્સ્નાની મર્યાદા અને અબોલા ઘણાં ગમ્યાં. ધનિક કુટુંબની છોકરીઓનો વાક્‌વ્યવહાર એમના ધન સરખો જ અખૂટ રહેતો હોય એવો સહુની માફક મધુકરનાં માતાપિતાને ઊપજેલો ખ્યાલ જ્યોત્સ્નાની અશબ્દ હાજરીએ નિર્મૂળ કરી નાખ્યો.

ચા પતાવ્યા પછી રાવબહાદુર અને યશોદાબહેને મહેમાનોને ઘર તથા બગીચો બતાવવાનું કાર્ય માથે લીધું, જેમાંથી મધુકરે માફી મેળવી અને ધીમે રહી તે જ્યોત્સ્નાના ખંડ તરફ સરકી ગયો. જ્યોત્સ્ના આયનામાં મુખ જોઈ એક પુસ્તક વાંચવા બેઠી હતી, પરંતુ એનું ચિત્ત પુસ્તકમાં ન હતું. કોઈના આગમનની તે રાહ જોતી હોય એમ વારંવાર પુસ્તકમાંથી બહાર નજર કરી રહી હતી. દૂરથી એણે મધુકરને પોતાના ખંડ તરફ આવતો નિહાળ્યો.

એને આવતો જોઈને જ્યોત્સ્નાએ મુખ ફેરવી બીજી આરામ ખુરશી ઉપર સ્થાન લઈ અત્યંત ગંભીરતાપૂર્વક પુસ્તક વાંચવું શરૂ કર્યું. વાંચનમાં જ્યોત્સ્ના એવી તલ્લીન બની બેસી ગઈ કે મધુકર તેના ખંડમાં આવી પહોંચ્યો એનો પણ જાણે એને ખ્યાલ ન હોય એવો દેખાવ એણે કર્યો.

મધુકર થોડી ક્ષણ શાંતિથી ઊભો રહ્યો; પછી એણે એક પુસ્તક ખેંચ્યું અને પાછું મૂક્યું; એક ખુરશીને પણ ખસેડી, જરા અવાજ કર્યો; છતાં જ્યોત્સ્નાની એકાગ્રતા હાલી નહિ. એટલે મધુકરે મેજ ઉપર પડેલી ઘંટડી વગાડી, છતાં જ્યોત્સ્નાએ તેની તરફ જોયું નહિ. એટલે સહજ ઉગ્રતાપૂર્વક જ્યોત્સ્નાની પાછળ આવી, જ્યોત્સ્નાના હાથમાંથી જ એણે પુસ્તક ખેંચી લીધું !

જ્યોત્સ્ના જાણે ચમકી હોય એમ ઊઠીને ઊભી થઈ. મધુકર તેની સામે જોઈ રહ્યો. જ્યોત્સ્નાએ વસ્ત્ર ખેંચી ખુલ્લું મસ્તક ઢાંક્યું અને આછું સ્મિત કર્યું !