પૃષ્ઠ:Snehashristi.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંખના અંગારઃ ૧૮૦
 


‘હું ક્યારનો આવ્યો છું તે તું જાણે છે ?’ મધુકરે પૂછ્યું.

‘હા.’

‘તો પછી… મારી સાથે અબોલા છે શું ?’

‘હા.’

‘કારણ ? મારો કશો અપરાધ ?’

‘તારો અપરાધ તું જાણે ! કારણમાં તો… આર્યતા’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘આર્યતા ? કાંઈ સમજાય એવું તો કહે ?… અને આજે જ ક્યાંથી આર્યતા ઊભરાઈ આવી ?’

‘તું જાણે છે… તારાં અને મારાં માતાપિતા આટલામાં જ છે. હું અને તું વાત કરીએ એ એમને ગમે ખરું ?’

‘શા માટે નહિ ?’

‘બન્ને પક્ષે આર્યતા તરફ પક્ષપાત છે… અને આર્યભાવના પરપુરુષ સાથેની વાતચીત સ્ત્રીઓમાં ઇચ્છતી નથી.’

‘અને એ પરપુરુષ સ્વપુરુષ બનવાનો હોય ત્યારે ?’

‘ત્યારે તો બેવડી મનાઈ !’

‘મશ્કરી ક્યાં સુધી લંબાવવી છે ?’

‘લગ્ન સુધી તો ખરી જ… મારી મર્યાદાને તું મશ્કરી કહેતો હોય તો !’

‘કોના લગ્ન સુધી ?’

‘વિચારી જો ! કોનાં તે તારાંસ્તો’

‘નક્કી છે ?’

‘મારું ચાલે ત્યાં સુધી તો નક્કી જ !’

‘ઓ જ્યોત્સ્ના ! ઓ દેવી !’ મધુકરે ઊર્મિવશતા બતાવી એક ડગલું આગળ ભર્યું.

‘તારી માએ મને અપ્સરા કહી. તું મને દેવી કહે છે. સાચું શું ?’

‘તારો હસ્ત ચૂમતે ચૂમતે સાચું શું એ હું તને કહી સંભળાવું.’ મધુકરે યુરોપીય વીરની ઢબે એક ઘૂંટણ નમાવી જ્યોત્સ્નાનો હાથ પકડવા પ્રયત્ન કર્યો. જરા ખસી જઈ જ્યોત્સ્નાએ કહ્યું :

‘એક એકાંતશોભન કાર્ય જાહેરમાં ન થાય.’

‘જાહેરમાં ? અહીં એકાંત જ છે ને ?’

‘ના; હું દૂરથી શ્રીલતાને આપણા ખંડ તરફ આવતી જોઉં છું.’