પૃષ્ઠ:Snehashristi.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
 
લગ્ન અને માનવખરીદી
 


મધુકર જરા છોભીલો પડ્યો, અને એકાએક તેણે જ્યોત્સ્નાના ખંડમાંથી બહાર જવા માંડ્યું.

‘કેમ મધુકર ! ક્યાં ચાલ્યો ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘તું અને શ્રીલતા વાત કરી લો; પછી હું આવું છું.’ મધુકરે કહ્યું.

‘તું પણ શ્રીલતા સાથે વાત કરી શકે છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘મારાં માતાપિતા મારી રાહ જોતાં હશે.’ મધુકરે જવાબ આપ્યો. શ્રીલતાનું આછું હાસ્ય શ્રીલતાના એક વાક્ય સાથે મધુકરને કાને અથડાયું :

‘મધુકરનાં માતાપિતા ? એ તો એમનાથી શરમાય છે. તારા બંગલામાં ક્યાંથી ?’

‘જો મધુકર ! આ શ્રીલતા શું પૂછે છે ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘એનું જીવન પૂછપરછમાંથી ઊંચે આવતું જ નથી… મારાં માતાપિતાની ટીકા કરનાર સાથે મારે શી વાત કરવી ? હું જાઉં છું. જ્યોત્સ્ના ! હવે તું જ જવાબ આપજે કે મારાં માતાપિતા અહીં કેમ આવ્યાં છે.’ આટલું કહી મધુકરે ખંડ છોડ્યો. છોડતે છોડતે મધુકરે શ્રીલતાની કટુતાભરી વાણી પણ સાંભળી :

‘ઘરનાં માલિક થવા આવ્યાં હશે બધાં, ખરું ને ?’

હવે મધુકરની ખાતરી થઈ ચૂકી કે શ્રીલતાએ જ્યોત્સ્ના અને મધુકરના સંબંધની છેલ્લામાં છેલ્લી વાત સાંભળી જ હશે. હવે શ્રીલતા એનો કેડો છોડશે પણ ખરી - ખરું જોતાં કેટલાય સમયથી એણે એ કેડો લેવો છોડી પણ દીધો હતો. એમાં મધુકરનો પણ શો ઇલાજ ? આખું જીવન માંગ અને પુરવઠો - Supply and Demand - ના સિદ્ધાંત ઉપર જ રચાયું છે. પ્રેમ અને લગ્નમાં પણ એ જ આર્થિક સિદ્ધાંત પ્રવર્તી રહ્યો છે ! અપવાદ તો બધામાં જ હોય. ઘેલછા કાઢતાં યુગલો એ સિદ્ધાંતને કદાચ બાજુએ મૂકે - અને પછી પસ્તાવામાં આખું જીવન વિતાવે ! પરંતુ અપવાદ નિયમને ફેરવી શકતો નથી.