પૃષ્ઠ:Snehashristi.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬:સ્નેહસૃષ્ટિ
 

જ્યોત્સ્નાને અપવાદ બનતી બચાવી લેનાર મધુકરથી પોતાના હૃદયને એમ તો કહેવાય એવું હતું જ નહિ કે તેણે શ્રીલતા પ્રત્યે પ્રેમ પ્રગટ કરી શ્રીલતાનું આકર્ષણ કર્યું ન હતું... હજી પણ શ્રીલતા કાંઈ ખાસ... ન ગમે એવી તો હતી જ નહિ. જ્યોત્સ્ના સરખી જ ઊંચી ! જ્યોત્સ્ના સરખી જ ભરેલા વાનવાળી ! જ્યોત્સ્ના કરતાં પણ કદાચ છટાદાર અને વધારે વાચાળ ! More stimulating! આકર્ષણ પણ જરા વધારે... અને સ્ત્રીમાં બીજું શું જોઈએ ? પરંતુ શ્રીલતા જેવું જ રૂપ અને આકર્ષણ જ્યોત્સ્નામાં હોય... અને વધારામાં એ એકલી જ ભારે મિલકતની વારસ હોય, તો મધુકર કયા સિદ્ધાંતને પકડી જ્યોત્સ્ના તરફ વધારે પ્રમાણમાં ન વળે ? શ્રીલતાનાં માતા-પિતા સુખી ભલે હોય ! હવે ધનિક તો નહિ જ ને ? અને બે વચ્ચે જો પસંદગી કરવાની હોય તો... ડહાપણ એ જ સૂચવે કે શ્રીલતાને છોડી જ્યોત્સ્નાને ચાહવું. અને ચાહવું એટલે ? કોઈ પણ દેખાવડો સ્ત્રીદેહ ચાહી શકાય ! એનું પોતાનું હૃદય તપાસતાં એને સ્પષ્ટ સમજાયું કે પરણ્યા પહેલાં તે કેટકેટલી છોકરીઓને ચાહી શક્યો હતો !

પછી શ્રીલતાને બાજુએ મૂકી જ્યોત્સ્ના પ્રત્યે તેનો પ્રેમ વળે તો તેથી એણે પોતે તેમ જ શ્રીલતાએ ખોટું લગાડવાની કે દુઃખી થવાની જરૂર ન રહે! શ્રીલતાની માલિકીની ભાવના જ તેને અણગમતી બનાવી રહી હતી! કેટલીક સ્ત્રીઓ એમ જ માને છે કે લગ્ન એટલે પુરુષનું ગુલામીખત ! શ્રીલતાની આંખ જ અવિશ્વાસ ભરેલી ! અનેક સૌન્દર્યો દર્શાવતી દુનિયામાં એક જ સૌન્દર્ય ઉપર ત્રાટક કેમ થઈ શકે ? શ્રીલતાને મધુકરે જતી કરી એ જ ઠીક કર્યું. જીવનભર દુઃખી થવા કરતાં થોડા સમયનું દુઃખ ચલાવી લેવાય ! આમ વિચાર કરી પોતાના હૃદયને મનાવી રહેલો મધુકર અદૃશ્ય થઈ ગયો.

પરંતુ શ્રીલતા અને જ્યોત્સ્ના તો લાંબો સમય સાથે ગાળી રહ્યાં. નાટક કે દૃશ્ય-શ્રેણીમાં શું શું કરવું, કોને બોલાવવાં, કોને કયો ભાવ સોંપવો. વગેરે બાબતો નક્કી થઈ ચૂકી હતી. સ્થળની પસંદગી પણ થઈ ગઈ હતી, અને હવે દિવસ પણ નક્કી થયો. દૃશ્યોમાં ભાગ લેનારમાં સ્ત્રીઓ જ હોય અને સહાયમાં માત્ર પુરુષોને જ રાખવા એ કાર્યપ્રણાલિકા પણ સર્વસંમત હતી - પુરુષોને પણ. એ કાર્યક્રમ પૂરો થયો એટલે બન્ને સખીઓની સામાન્ય તેમ જ વિશેષ વાતચીત પણ થઈ રહી:

'જ્યોત્સ્ના ! સ્ત્રીને પુરુષ વગર ન ચાલે ?' શ્રીલતાએ પૂછ્યું.

'પુરુષને ક્યાં સ્ત્રી વગર ચાલે છે ? એવું જ સ્ત્રીને પણ હોય.' જ્યોત્સ્નાએ કહ્યું.