પૃષ્ઠ:Snehashristi.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨:સ્નેહસૃષ્ટિ
 


જ્યોત્સ્નાએ કહ્યું.

‘પગાર તો આવી ગયો. બહેન ! અને એણે એનો ઉપયોગ પણ કરી દીધો… તમને કદાચ ખબર નહિ હોય.’ માતાએ કહ્યું.

‘એ તો… એણે આપને કહ્યું નહિ હોય… પગાર આપતાં જરા વાર લાગી એટલે વાપરી નાખ્યાનું બહાનું કાઢ્યું હશે. હજી એને પગાર અપાયો જ નથી. માતાજી ! આ રકમ હું અહીં મૂકી જાઉ છું… તમને હરકત પડી હશે… માફી પણ માગી લઉ.’ જ્યોત્સ્ના બોલી, અને સો રૂપિયાની નોટ કાઢી એણે માની પાસે મૂકી.

‘સુરેન્દ્ર આવશે એટલે હું કહીશ… હમણાં તો હું જોખમ રાખીને શું કરું ?…. પગાર નહિ લીધો હોય તો… ક્યાં જવાનો છે ? આવીને લઈ જશે… હું તો પૈસાને અડકતી જ નથી… મારું વ્રત છે.’ માએ કહ્યું અને રૂપિયા લેવાની વિવેક પુરઃસર પરંતુ સ્પષ્ટ ના પાડી. ભણેલી યૌવનાઓ આ નિર્ધન માતાનું ગૌરવ નિહાળી ચમકી ગઈ. સુરેન્દ્રને સહાય આપવાની વૃત્તિને પાછી ખસેડી નાખતી માતા પાસે વધારે યુક્તિ નહિ ચાલે એમ બંનેને સ્પષ્ટ થયું. થોડી વાતચીત પછી બંને જણીએ સુરેન્દ્રની માતા પાસે વિદાય લીધી અને જતે જતે પૂછ્યું ;

‘સુરેન્દ્ર ક્યાં હશે… અત્યારે ?’

‘ચોક્કસ ક્યાં એ તો કહેવાય નહિ… કોઈની દવા લાવતો હશે કે કોઈને ભાગવત વાંચી સંભળાવતો હશે… રાત્રે મોડો આવે છે.’

સુરેન્દ્ર તો મળી શક્યો નહિ, સુરેન્દ્રની માતા મળી. પગાર આખો વપરાઈ ગયાની હકીકત માતા જાણતાં હતાં. ઉપરની રકમ લેવાની તેમણે ચોખ્ખી ના પાડી… શું, કેટલીક ગરીબી વેચાતી ન હોય એમ બને ખરું ? ગરીબીમાં પણ ગૌરવ હોય ખરું ?

રાજદ્વારી મુત્સદ્દીગીરીનો એક સિદ્ધાંત છે કે દરેક માનવીની કાંઈ અને કાંઈ કિંમત હોય જ - નાની યા મોટી. પરંતુ આ સુરેન્દ્રની કિંમત થાય એમ ન હતું. આ જ્યોત્સ્નાનું સમર્પણ સુધ્ધાં સુરેન્દ્રને માન્ય ન હતું. અને એ જ સુરેન્દ્રની માતા ! ગરીબીમાં પણ કેટલી તેજસ્વિતા ? જ્યોત્સ્નાની સંપત્તિને - અરે જગતની આખી સંપત્તિને માતા ઝાંખી પાડતી હતી !

‘હવે જા મધુકરની મા પાસે… પગે લાગીને પગ પાસે રૂપિયા મૂકી દે, ઝડપથી લઈ લેશે !’ શ્રીલતા બોલી અને હસી પણ ખરી.

‘પરંતુ… મને સુરેન્દ્રનો વિચાર આવે છે… આખો મહિનો એ શું શું