પૃષ્ઠ:Snehashristi.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮:સ્નેહસૃષ્ટિ
 


‘ભણતરનો શો ઉપયોગ તું કરે છે ?’

‘જેમને સાધન નથી… સગવડ નથી… શક્તિ નથી… આંખ નથી, એમની પાસે જઈ હું મારું ભણતર વેરી દઉં છું… જે કોઈ નોકરિયાતથી બને એમ નથી.’

‘ધન મેળવ્યા પછી એ બધું ન બની શકે ?’

‘કોઈ ધનિકે વિદ્યા વેરી એમ સાંભળ્યું છે ?’

‘મોટાં મોટાં ટ્રસ્ટ, ફાઉન્ડેશન્સ, અભ્યાસઆસનો -Chairs, પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો, અભ્યાસવર્તુલો… આ બધું ધનિકો ન હોય તો ક્યાંથી થાય ?’

‘આપે નવો જમાનો જોયો-અનુભવ્યો લાગે છે !’ સુરેન્દ્રે પૂછ્યું.

‘હું જીવું છું જ નવા જમાનામાં. પછી એ જોયા વગર કેમ રહું ?’

‘આપે કહી એ બધી જ સંસ્થાઓનાં હાડમાંસમાં પૈસાદારો ભલે હોય. એનો આત્મા તો કોઈ વૈજ્ઞાનિકનો, ફિલસૂફનો, સાહિત્યકારનો જ હોય ને ?’

‘તું આત્મામાં માને છે ખરો… જડવાદી હોઈને ?’

‘શરીર અને શરીરને જીવંત રાખતા તત્ત્વનો - મનનો ફેર સમજાવવા પૂરતો.’

‘તારી સરખામણી કબૂલ કરીએ; ભલે, પરંતુ એ હાડમાંસ વગર આત્મા ઊભો ન થાય ને ? તારે આત્મા બનવું હોય તોપણ ધનના કલેવર વગર કેમ ચાલશે ?’

‘મહારાજ ! ધનનાં કલેવરમાંથી ઊભો થયેલો આત્મા ભૂત, પ્રેત અને જીન સરખો બની ગયેલો છે… આપ જોતા નથી આજની દુનિયાને ? અર્થશાસ્ત્રમાંથી વ્યાજ ઉપજાવ્યું; ફિલસૂફીમાંથી મહાપુરુષ - અતિપુરુષ - ઉપજાવ્યો; રાજકારણમાંથી રાજા અને સરમુખત્યાર સર્જાયા : અને પ્રયોગશાળામાંથી અણુશક્તિની મારણક્રિયા ઉપજાવી… ધનનું કલેવર ન હોત તો આજના સમાજનો આત્મા દૈત્ય નહિ, દેવરૂપે પ્રગટ થયો હોત. સુરેન્દ્ર જરા ભાષણનું સ્વરૂપ પોતાની વાતચીતને આપી રહ્યો હતો. જેની અસર સાધુ ઉપર સ્મિતના સ્વરૂપમાં પ્રગટી નીકળી. સાધુએ હસીને કહ્યું :

‘ભલે, તું પૈસાને આઘો મૂક. પરણતો કેમ નથી ? આ જ વય સાચી છે કે જ્યારે તારે લગ્ન કરવું જોઈએ.’

‘લગ્નમાં… પણ… ધન સરખું જ બંધન હું જોઈ રહ્યો છું… અને મારા