પૃષ્ઠ:Snehashristi.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૩૧
 
ગાંધીરંગ્યો સામ્યવાદ
 

સામ્યવાદ એટલે ધગધગતો વાદ. એને સ્વીકારવો હોય તો એને સર્વાંગે સ્વીકારવો જોઈએ, એમાં બીજો રંગ આવી શકે જ નહિ. અને આવવા મથે તો તે દુશ્મનદળના જાસૂસ તરીકે જ ! એમાં મધ્યમમાર્ગ ચાલે નહિ, એમાં સમાધાને ચાલે નહિ, આડોઅવળો માર્ગ ચાલે નહિ. કાર્લ માર્ક્સે જે માર્ગ ચીંધ્યો એ સિવાય બીજા કોઈ પણ માર્ગથી સામ્યવાદના અંતિમ સિદ્ધાંતો ગ્રાહ્ય થઈ શકે જ નહિ, એવો સામ્યવાદનો આગ્રહ. અર્ધોપર્ધો સામ્યવાદ હોઈ શકે જ નહિ; અને ગાંધીરંગ્યો સામ્યવાદ તો હોઈ જ શકે નહિ, જરાય નહિ ! માર્ક્સ પછીનું ગુરુસ્થાન ભલે લેનીનને મળે - એન્ગલ્સ તો માર્ક્સના પેટમાં આવી ગયો. પરંતુ એ નામ સિવાય સામ્યવાદથી સોગન ખવાય એમ હોય જ નહિ ! ટ્રોટ્રસ્કી પણ ખોટો ! બીતે બીતે કહી શકાય કે સ્તાલીન પણ ખોટો - સંભાળીને કહેવું ! પરંતુ સામ્યવાદ એ સામ્યવાદ - સત્યવાદ ! એમાં ગાંધીનું નામ પણ લેવું એને સામ્યવાદ પાપ ગણે !

સુરેન્દ્ર આ હકીકત જાણતો હતો. પરંતુ સાધુ પણ આ હકીકત જાણતા હતા એ જાણી સુરેન્દ્રને ઘણી નવાઈ લાગી. નહિ તો એ ગાંધીરંગ્યા સામ્યવાદને નવી વ્યાખ્યા તરીકે ન જ ઓળખાવે.

‘મહારાજ ! આપે સામ્યવાદનો અભ્યાસ કર્યો છે શું ?’

‘એટલો અભ્યાસ તો મેં જરૂર કર્યો છે જેથી સામ્યવાદ અને અમારું સાધુત્વ એક જ છે એમ કહેવા જાઉં તો સામ્યવાદીઓ મને શૂળીએ ચઢાવે.’ કહી સાધુ હસ્યા.

'એક ધૃષ્ટતા કરું ?’

‘હા. કંઈક પૂછવું છે કે કહેવું છે ?’

‘પૂછવું છે.’

‘શું ?’

‘આપનો પૂર્વાશ્રમ શો ?’

‘પૂર્વાશ્રમને યાદ કરું તો હું સાધુ મટી જાઉં, અને મારાથી હવે સાધુ