પૃષ્ઠ:Snehashristi.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
 
સ્વપ્નમાં સત્ય
 


‘હું તમારો ભારે આભાર માનું છું, પરંતુ હું ક્યાં છું એ તમે કહી શકશો ?’ આશ્ચર્યચકિત સુરેન્દ્રે પૂછ્યું.

‘તમે એકવીસમી સદીની માનવદુનિયામાં છો… પૃથ્વી ઉપર છો…’ યુવકે કહ્યું.

‘પરંતુ દેશ કયો ? સ્થાન કયું ? નગર કયું ?’

‘દેશ, સ્થાન અને નગરના નાનકડા ભેદ અમે ભૂલી ગયા છીએ. આ તો માનવ-મહારાજ્ય છે. જેમાં ઓછામાં ઓછા કાયદા છે, ઓછામાં ઓછા ભૂમિટુકડા છે, ઓછામાં ઓછા ઝગડા છે અને વિપુલ ખોરાક, વિપુલ જ્ઞાન અને વિપુલ કલા ઘેર ઘેર ફેલાય જાય છે.’

‘એમ ? ત્યારે હજી ઘર છે ખરા !… પણ બધાં જ લગભગ સરખાં લાગે છે… ઝૂંપડી તો એકે દેખાતી નથી. હું ઝૂંપડીનો શોખીન છું…’

‘તમારી ઈચ્છા હશે તો તમને ઝૂંપડી કરી આપીશું. મકાનના આકાર સંબંધમાં અમે ઝઘડતા નથી… અને ઝૂંપડી એટલે તો… વીસમી સદીના કલંક રૂ૫ ગરીબોના નિવાસ ને ?… એ ઝૂંપડી અને ચાલને નામે ઓળખાતાં પાપ ક્યારનાંયે અમે અદૃશ્ય કરી નાખ્યાં છે… છતાં અમારા સંગ્રહસ્થાનમાં એ નમૂના અમે સાચવ્યા છે ખરા…’

‘ઝૂંપડી અને ચાલીઓ અદૃશ્ય થઈ ગઈ ? શું કહો છો ! મને સમજાતું નથી !… તો હું ક્યાંથી આવું છું ?… મારું છેલ્લું સ્થાન તો ઝૂંપડીમાં જ હતું એમ મને યાદ આવે છે.’

‘અમારો ઇતિહાસ કહે છે કે ઝૂંપડીનો છેલ્લો નિવાસી સુરેન્દ્ર નામનો એક લડવૈયો હતો. એણે એક એવી વિશ્વવ્યાપી લડત જગાવી હતી કે જ્યાં સુધી એક પણ માનવીને ઝૂંપડીમાં રહેવું પડે ત્યાં સુધી બીજા કોઈને પણ ઝૂંપડી કરતાં વધારે સારું રહેઠાણ આપી શકાય જ નહિ.’

‘એમ ? મારું નામ પણ સુરેન્દ્ર છે…’