પૃષ્ઠ:Snehashristi.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦:સ્નેહસૃષ્ટિ
 

વ્યાપક છે… પરંતુ હવે યોગ એ માત્ર હિંદુઓનો જ નહિ, પરંતુ સમગ્ર માનવજાતની સમૃદ્ધિ બની ગયો છે.’

‘પરંતુ તમે મહમદખંડ રાખી ઈસ્લામ ધર્મની ખુશામદ તો આજ પણ કર્યે જાઓ છો !’ સુરેન્દ્રનું રહ્યુંસહ્યું હિન્દુત્વ સળવળી ઊઠ્યું અને હિંદુધર્મે ઈસ્લામને આપેલી પાકિસ્તાન રૂ૫ ખંડણી તેને યાદ આવી.

‘નહિ, નહિ, નહિ ! નવીન દુનિયાને ખુશામદની જરૂર રહી જ નથી. ખુશામદને જીવવા માટે અહીં સ્થાન જ નથી !’

‘તો પછી તમે પશ્ચિમ વિભાગને મહમદખંડ નામ કેમ આપ્યું ?’

‘કારણ મહમદ એક મહાન અર્થશાસ્ત્રી હતો.’

‘મહમદ ? અર્થશાસ્ત્રી ? કદી વાંચ્યું કે સાંભળ્યું નથી.’

‘વ્યાજને નાબૂદ કરવાની આજ્ઞા આપી મહમદે ધનનો એક ભયંકર ઝેરી ડંખ કાપી નાખ્યો છે. વ્યાજની પ્રથાએ માનવજાતની કેટકેટલી સધ્ધરતાને નાદારીમાં ફેરવી નાખી છે એનો ઇતિહાસ તમે જાણો ત્યારે…’

‘એ હું જરૂર જાણું છું. મહમદની સ્મૃતિ આ રીતે જાળવી રાખવા માટે હું તમને મુબારકબાદી આપું છું… પરંતુ આપણે ફરતા ફરતા ક્યાં જવા ધારીએ છીએ ?’ સુરેન્દ્રે પૂછ્યું.

‘હું તમને અતિથિગૃહમાં લઈ જાઉં છું. ત્યાં તમે આરામ લો. તમે ક્યાંથી અહીં કેમ આવ્યા એ સંભારી કાઢો… નહિ તો અમારા માનસચિકિત્સકો - જેમને યોગાભ્યાસે બારે શક્તિઓ આપી છે તેઓ જરૂર તમારા ડૂબેલા મનવિભાગને તરતો બનાવી દેશે… અને તમને તમારો ભુલાયેલો ભૂતકાળ ગોતવામાં મદદ કરશે. આ રહ્યું અતિથિગૃહ !’ કહી મધુકરનો વંશજ તેને એક સુંદર બગીચામાં લઈ ગયો.

‘હું ક્યારનો જોયા કરું છું… આ તે શહેર છે કે ઉદ્યાનનગર છે ?’ સુરેન્દ્ર પૂછ્યું.

‘ઉદ્યાનની સગવડ વગરનું એક પણ મકાન નવી દુનિયામાં હોઈ શકે નહિ.’

‘અને… કેવાં કેવાં ઉદ્યાનો ? ભારતનાં ઉપવન, કાશ્મીર-ઈરાનના મોગલાઈ બગીચા, ચીની અને જપાની વાડીઓ, ઈટલીના વિસ્તૃત બાગ… અને એથીયે કાંઈ અવનવું… હું જોયા જ કરું છું. ઝૂંપડીમાંથી આ કેમ ઉપજ્યું એની વિગત મને જણાવશો ?’ સુરેન્દ્રે માગણી કરી.

‘આપ જરા આરામ લો. અતિથિગૃહના સંચાલક એક ઇતિહાસકાર