નોંધી રાખી તેમની સહાય નક્કી કરી.
જવાનો સમય તો સહુને માટે છે જ !
જ્યોત્સ્નાએ ઉષાબહેનની રજા લઈ શ્રીલતાને કહ્યું :
‘ચાલ, શ્રીલતા ! હું તને મૂકી દઉં.’
‘ના. તું અને મધુકર બન્ને સાથે જાઓ ને? હું તો આજ સુરેન્દ્રને લઈને જવાની છું.’ શ્રીલતાએ કહ્યું.
મધુકર અને જ્યોત્સ્નાએ શ્રીલતા સામે જરા તાકીને જોયું અને બન્નેએ વિદાય લીધી.
સુરેન્દ્રની રાહ જોતી શ્રીલતા નવનીતલાલના ખંડમાંથી સુરેન્દ્ર બહાર નીકળે એની ખબર મંગાવી બેઠી હતી. ખબર આવી એટલે શ્રીલતાએ પણ વિદાય લઈ સુરેન્દ્રનો સાથ લીધો.
બંગલાની બહાર નીકળતાં જ સુરેન્દ્રે પૂછ્યું :
‘શ્રીલતા ! આજ મારા ઉપર કેમ કૃપા કરી ?.. ગાડી કરી લાવું?’
‘ના. ગાડીમાં ઝડપથી જવાય. મારે તારી સાથે લાંબી વાત કરવી છે. તારા ઉપર મારી કેમ કૃપા થઈ છે એનું કારણ હું તને ચાલતે ચાલતે કહીશ.’ શ્રીલતા બોલી.
‘વાત કરી શકાય એવું એકાંત પણ લાંબે સુધી ચાલશે.’ સુરેન્દ્ર હસીને કહ્યું.
‘ત્યારે તને પણ મારી સાથેનું એકાંત ગમ્યું ખરું !’
‘એટલે ?’ જરા ચમકીને સુરેન્દ્ર બોલ્યો.
‘એટલે કાંઈ નહિ. મધુકરે મને આજ બહુ જ લાંબી અને ગમે એવી શિખામણ દીધી.’
‘શાની ?’
‘મારે તારી સાથે પ્રેમ કરવો એવી શિખામણ !’ સ્વસ્થતાપૂર્વક શ્રીલતાએ કહ્યું.
‘શ્રીલતા ! મારી સાથે પ્રેમ ? મશ્કરી ન કરીશ... હું તો પ્રેમથી ભાગનારો માનવી છું.’
‘પરંતુ મધુકર તને વધારે જાણે છે. એમ કહે છે કે મારો પ્રેમ કરવા લાયક કોઈ પણ યુવક હોય તો તે તું જ છે !’ શ્રીલતાએ કહ્યું. રસ્તો શૂન્ય હતો એટલે યુવકયુવતીની પ્રેમની વાત પ્રેરી શકે એવો હતો.
‘પછી ?’