પૃષ્ઠ:Snehashristi.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
 
પ્રેમનમન
 

મધુકર હવે સમજી શક્યો કે જ્યોત્સ્ના હમણાં હમણાં શા માટે તેની સાથે પૂર્ણ છૂટથી વર્તતી ન હતી ! જ્યોત્સ્નાએ પોતે તો લાજ સુધીની તૈયારી બતાવી હતી; અરે કારમાંથી ઊતરતાં આછી લાજ કાઢી પણ હતી ! લાજ પણ સુંદર લાગતી હતી, નહિ ? અને લગ્નમાં પણ એને જૂની ઢબનો સ્વીકાર કરવાનો હતો એમ જ્યોત્સ્નાનાં માતાપિતાએ પણ કહ્યું ! મધુકરને સ્ત્રીઓની ગમે તે ઢબ ગમતી - જૂની કે નવી ! બન્નેની પાછળ અર્થ એક જ હતો ને ? પુરુષના આકર્ષણનો જ ! ભલે, જ્યોત્સ્ના અને તેનાં માતા-પિતા પ્રાચીન પ્રણાલિકાની રમત રમી આનંદ માને ! મધુકરને પ્રાચીન કે અર્વાચીન ગમે તે ઢબે જ્યોત્સના સાથે લગ્ન જ કરવું હતું ! એ માર્ગ એનો સફળ થયો હતો - એનાં પોતાનાં માતાપિતાએ કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી તે છતાં ! એક ભવ્ય પ્રેમ-બલિની છટાથી એણે રાવબહાદુરને લખી પણ દીધું હતું કે માતાપિતાની શરતોને બાજુએ મૂકીને પણ જ્યોત્સ્ના સાથે એ લગ્ન કરશે !… મુખથી ન કહેવાય એવી આ વાત એણે લખીને સ્પષ્ટ કરી હતી. અને તેમાં પોતાની કક્ષા વધારી દીધી હતી.

હવે મધુકર જ્યારે જ્યારે એકાંતમાં જ્યોત્સ્નાને મળવાનો પ્રયત્ન કરતો ત્યારે ત્યારે જ્યોત્સ્નાનું માથા-ઓઢણ જુદી જુદી પરંતુ આકર્ષક ઢબે તેના મુખ ઉપર વિસ્તાર પામતું જતું હતું, અને વાતચીતમાં શબ્દવપરાશ ઘટતો જતો હતો. એક સંધ્યાએ ફરીથી પાછાં આવી મધુકરે જ્યોત્સ્ના સાથે ઘરમાં એકાંત મેળવ્યું. મુખ ઢાંકવા મથતી જ્યોત્સ્નાને તેમ કરતાં અટકાવી મધુકરે કહ્યું :

‘તારી લાજ તો વધતી જાય છે !’

‘હા; નથી ગમતી ?’

‘કદી કદી ગમે છે, કદી કદી નથી ગમતી.’

‘હું તો હવે એ પ્રથાને પસંદ જ કરું છું.’

‘ભલે, જે તોફાન કરવું હોય તે કરી લે; લગ્ન પછી તારી વાત છે !’