પૃષ્ઠ:Snehashristi.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અવેતન રંગભૂમિઃ ૨૫૩
 


રંગભૂમિ ઉપર પણ ઠીકઠીક ધાંધળ મચી રહ્યું. અંધારું હતું એટલે કોણે ક્યાં જવું, શું કરવું એની કાંઈ સમજ પડતી નહિ. સિસોટીઓ વાગી, શાંત રહેવાની વિનંતીઓ કરાઈ અને દીપવિધાયકને ચારે બાજુએથી આજ્ઞાઓ મળવા માંડી - જોકે કોઈને પ્રકાશની વ્યવસ્થા કરનાર ગૃહસ્થ ક્યાં હતા તેનો ખ્યાલ ન હતો. તેઓ તો પોતે અંધકાર-પ્રકાશના સ્વરૂપને ઓળખી શક્યા હતા એટલે કયે સ્થળે પ્રકાશની મુશ્કેલી ઊભી થઈ છે તે સમજી લઈ પોતાની ટૉર્ચ સળગાવી પ્રકાશ બંધ થતાં જ ચાલ્યા ગયા હતા. અવ્યવસ્થા મચી રહી. મધુકરે સ્વસ્થતાપૂર્વક બેસી પોતાની નજીક ખુરશી ઉપર બેઠેલી જ્યોત્સ્નાને કહ્યું :

‘તું જતી નહિ; ગભરાટની જરૂર નથી. હમણાં પ્રકાશ થશે.’

જ્યોત્સ્નાએ જવાબ આપ્યો નહિ એટલે મધુકરે પોતાનો હાથ લંબાવી જ્યોત્સ્નાનો હાથ શોધ્યો. જે તેને બહુ ઝડપથી જડી ગયો. એ હાથ તેણે પકડીને પોતાના હાથમાં જ રહેવા દીધો; એટલું જ નહિ પણ તેણે પોતાના અંગૂઠા વડે હથેલી ઉપર મુલાયમ માલિશ પણ શરૂ કરી દીધો.

સિનેમા-નાટકમાં અંધારાં ઘણાં ઘણાં પ્રેમીઓને અનુકૂળ થઈ પડે છે. તેઓ ઈચ્છે છે કે એવાં અંધારાં વધારે વાર થાય અને વધારે વાર લંબાય. હજી સુધી જ્યોત્સ્નાએ મધુકરનો સ્પર્શ થવા દીધો ન હતો. પરંતુ અત્યારે તેણે સ્પર્શનો કાંઈ પણ વિરોધ ન કરતાં મધુકરને સ્પર્શનો સંપૂર્ણ લાભ આપવો હોય એવો જાણે નિશ્ચય કર્યો હોય એવું મધુકરને લાગ્યું. ઈશ્વર અંધારું વધારે લંબાવે એમ મધુકરે પ્રાર્થના કરી. અંધારામાં સહુ કોઈ જ્યાં અને ત્યાં સ્થિર થઈ ગયાં હતાં. મધુકરની ઈચ્છા હતી કે તે હથેલીમાંથી પોતાનો હાથ ખસેડી જ્યોત્સ્નાના ખભા અને વાંસા ઉપર ફેરવે; પરંતુ કોણ જાણે કેમ, આજે જ્યોત્સ્ના સરખી મર્યાદાશીલ, સંયમી, શરમાળ છતાં માની છોકરીએ મધુકરનો જ હાથ પકડી રાખ્યો હતો !

ભલે ! જ્યોત્સ્નાની એમ ઈચ્છા હોય તો તેમ થવા દેવામાં મધુકરને વાંધો ન હતો.

એકાએક આખા સભાગૃહમાં અને રંગભૂમિ ઉપર અજવાળું થયું. કોઈ કારણસર આડાઈ કરતાં યંત્રે હઠ છોડી દીધી અને વીજળીને સર્વ માર્ગે વહેવા દીધી.

‘હા !…’ એવો ભાવ સર્વના હૃદયમાં થઈ આવ્યો. પરંતુ મધુકરના હૃદયમાં એ પ્રકાશ થતાં બરોબર અરેકારો ફૂટી નીકળ્યો.

‘જ્યોત્સ્ના ક્યાં ગઈ ?’ મધુકરથી પુછાઈ ગયું; અને હજી મધુકરના