પૃષ્ઠ:Snehashristi.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
 
સમજદારી
 

‘તેં અને શ્રીલતાએ મેળ કરી લીધો, શું ?’ ગંભીર મુખાકૃતિ કરી જ્યોત્સ્નાએ મધુકરને પૂછ્યું. મધુકરને ભય હતો જ કે એને આ પ્રશ્ન પુછાશે જ. નાટકના અંતિમ ‘રીહર્સલ’ પ્રસંગે અંધકારનો લાભ લઈ મધુકરે શ્રીલતાનો હાથ ભૂલમાં પકડી લીધો હતો. અને શ્રીલતાના નખ - અને મધુકરે આપેલી વીંટી - મધુકરની હથેલીમાં પેસી ગયાં હતાં એ હકીકત જ્યોત્સ્નાએ જોઈ હતી અને જાણી પણ હતી. એ ભૂલ હતી એમ જાહેર કરવાને મધુકરનો સમય મળે તે પહેલાં તો મધુકરના ખંડમાં જ્યોત્સ્નાએ પ્રવેશ કરી પૂછ્યું.

મધુકર હવે માત્ર રાવબહાદુરનો નોકરિયાત ‘સેક્રેટરી’ રહ્યો ન હતો; અને રાવબહાદુરનો ભાવિ જમાઈ હતો, મિલકતનો દક્ષ વહીવટદાર હતો અને સંબંધ બંધાયા પછી ઝડપથી નગરના આગેવાનનું સ્થાન લેવાની લાયકાતવાળો એ તેજસ્વી નાગરિક હતો. એટલે હવે રાવબહાદુરના મકાનમાં અર્ધમાલિક સરખી એની પ્રતિષ્ઠા જામી ગઈ હતી. એની ‘ઑફિસરૂમ’ તો હતી જ; પરંતુ વખત બેવખત આરામ લેવા માટે એને પણ એક સરસ ખંડ સોંપવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ તે સફાઈપૂર્વક કરતો. એ ખંડમાંથી જ્યોત્સ્નાના ખંડ તરફ નજર નાખી શકાતી હતી. પરંતુ વિચિત્ર જ્યોત્સ્ના ઘડીમાં પ્રાચીન આર્યમર્યાદાને બાજુએ મૂકી મધુકર સાથે વાત પણ કરતી હતી, અને ઘડીમાં મર્યાદાનો ઊભરો આવતાં આંખ અને જીભ ઉપર મધુકર સામે પડદો પણ પાડી દેતી હતી. આજે રીહર્સલ પૂરું થતાં સહુને વિદાય કરી રાત્રિના સમયે જ્યોત્સ્ના પોતે જ મધુકરના ખંડમાં આવી એ નવાઈ જેવું હતું… છતાં મધુકરે ધારી જ લીધું હતું કે એક અગર બીજી રીતે જ્યોત્સ્ના એને પહેલી રાતના શ્રીલતા સાથેના હસ્તમેળાપની હકીકત પૂછ્યા વગર રહેશે નહિ !

‘ના તને કોણે કહ્યું ?’ મધુકરે જ્યોત્સ્નાને જવાબ આપ્યો.

'મેં જોયું અને શ્રીલતાએ મને કહ્યું… અને હું રાજી થવા આવી કે…