પૃષ્ઠ:Snehashristi.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમજદારીઃ ૨૫૭
 

સ્નેહમિલન ન હોય…’

‘પણ આ તો હસ્તમેળાપ હતો !’

‘કબૂલ… પણ આજની દુનિયાના બધાય હસ્તમેળાપ કાંઈ લગ્ન ન બની શકે’

‘હું એવા હળવા માનસમાં, હળવા મિલનમાં અને હળવા હસ્તમેળાપમાં માનતી જ નથી… માટે જ હું કોઈને મારો હસ્ત આપતી પણ નથી… હું તો હસ્તમેળાપને જ લગ્ન માનું !’

‘એમ ? હું સમજ્યો. પરંતુ મારી ધીરજને તારે ધન્યવાદ આપવો જોઈએ… તારો અણગમો સમજીને જ હું હસ્તમેળાપનો આગ્રહ પણ રાખતો નથી… બાકી આજ હાથ મિલાવવામાં આટલી બધી સંકુચિત વૃત્તિ ન જ રાખવી ઘટે… છતાં હું તને વચન આપું છું કે મારો હવે પછીનો હસ્તમેળાપ લગ્ન જ હશે… બસ ? ભૂલ ક્યાં થઈ, તે તું સમજી શકી ને?… અંધારું… તારો સંગાથ… મારો પ્રેમ…’ મધુકરે કહ્યું અને જ્યોત્સ્નાના મુખ ઉપર એક સ્મિત રમી રહ્યું.

મધુકરને પણ જ્યોત્સ્નાના ગંભીર મુખ ઉપર સ્મિત રમતું નિહાળી આનંદ થયો. મધુકરની દલીલ જ્યોત્સ્નાના હૃદયમાં અનુકૂળતાભર્યો ભાવ ઉપજાવી શકી એનો આનંદ મધુકરને સહજ થાય જ; સહુ પ્રેમીઓને થાય.

‘બોલ હવે શું પૂછવું છે ?… હવે તો જ્યોત્સ્ના ! તારા હાથને અડક્યા વગર વાતચીત કરવી પણ મને મુશ્કેલ થઈ પડે છે.’ મધુકરે કહ્યું.

‘હું એ સમજી શકું છું… પરંતુ એ તારી મુશ્કેલી લાંબો વખત ન ચાલે એમ હું ઇચ્છું છું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘એટલે ?’ જરા ચમકીને મધુકરે પૂછ્યું.

‘એટલે એમ કે હવે હાથ પકડવામાં તું ભૂલ ન કરી બેસે એ મારે જોવું રહ્યું.’

‘એટલે તું વધારે ચોકીપહેરા મૂકવાની છો ?’ હસતે હસતે મધુકર બોલ્યો.

‘ચોકીપહેરા મૂકવાની જરૂર ન રહે, અને ફાવે ત્યારે હાથ મસળવાની તને તક મળે એમ હું જોવા માગું છું.’

‘તારી વ્યાખ્યા પ્રમાણે હસ્તમેળાપનો અર્થ કરવાની મારી તૈયારી આજની નથી… એ પ્રસંગ તો… તું લાવે ત્યારે ! એ મારું સ્વર્ગારોહણ હશે… સાચા અર્થમાં… પાંડવોના અર્થમાં નહિ.’ મધુકરે કહ્યું.