પૃષ્ઠ:Snehashristi.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમજદારીઃ ૨૫૯
 

લેઈ જ્યોત્સ્નાએ કહ્યું અને તેણે ચાલવા માંડ્યું. એને જતી રોકી મધુકરે કહ્યું :

‘હજી મારા પ્રશ્નનો ઉત્તર મળ્યો નથી… જોકે ખોટું ન લગાડવાની બાંયધરી તો તેં લેઈ જ લીધી… સ્ત્રીઓમાં લુચ્ચાઈ હોય છે ?’

‘અરે હા, એ તો હું ભૂલી ગઈ ! તેં શું પૂછ્યું હતું ?’

‘મેં એમ પૂછ્યું હતું કે તેં આ લગ્નનો ઝડપી નિશ્ચય ક્યારે કર્યો ?’

‘હા… કહું ?’ …આ તેં લખી આપ્યું છે છતાં ફરી કહું છું કે ખોટું ન લગાડીશ…’

‘તું કહી નાખ એક વાર.’

‘પહેલી રાત્રે જ… અંધારું મટતાં તારો અને શ્રીલતાનો હાથ… એકબીજાને પકડી રહ્યો હતો ત્યારે…’

‘હજી વહેમ ન ગયો, ખરું ?’

‘વહેમનો પ્રશ્ન જ નથી. મારે તને સલામતી આપવી છે… અને તને સલામત બનાવવો છે…’

‘તારાં માતાપિતા શું કહે છે ?’

‘એ તારા લગ્ન માટે તારા જેટલાં જ ઉત્સાહી છે… એમણે હા કહી દીધી… અને મુહૂર્ત જોવડાવ્યું પણ ખરું. એ પછી જ હું તને ખબર આપવા આવી…’

‘એમ ?… હવે મારે મારાં માતાપિતાને સમજાવવાં રહ્યાં… તું એક ધનિકની પુત્રી છો એમ માની કોણ જાણે કેમ એ વિચિત્ર વાતો આગળ કર્યા કરે છે ! વરકન્યા તે કાંઈ વેચાતી લેવાની વસ્તુ છે ?’ મધુકરે પોતાનાં માતાપિતાની દૃષ્ટિ વખોડતાં છતાં આગળ કરી.

‘પછી… તારાં માતાપિતા કબૂલ ન થાય તો ?’ જ્યોત્સ્નાએ જરા ચિંતા વ્યક્ત કરી.

‘તો… માતાપિતાની હાજરી વગર લગ્ન થશે… પછી કાંઈ ?’ મધુકરે પ્રેમવીરત્વ બતાવ્યું.

‘અને… ધ્યાનમાં રાખજે… મારાં માતાપિતા માત્ર કન્યાદાન જ કરશે… બીજા કશાનું દાન નહિ. કબૂલ છે ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘શું તુંયે જ્યોત્સ્ના ? હું રાવબહાદુરની મિલકતને, પૈસાને કે પ્રતિષ્ઠાને પરણતો નથી… તું ઈચ્છે તો જ્યોત્સ્ના ! લગ્નની બીજી જ